સત્સંગમાં દ્રઢ શ્રધ્ધા જોઈએ, નિષ્કપટ ભાવે શુધ્ધભાવે સત્સંગ કરવો
પૂ.મહંત સ્વામીની હાજરીમાં સત્પુરૂષ દિન ઉજવાયોઃ આજે સેવા દિન ઉજવાશે : સાંસ્કૃતિક કાર્યક્રમમાં સેવાની અગત્યતા રજૂ કરતી ડિબેટઃ આવતીકાલે સવારે ૮ થી ૬ સુધી રકતદાન કેમ્પ
રાજકોટઃ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, આજે સવારે પ્રાતઃપૂજા દર્શન બાદ પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, ‘સેવામાં દંભ કે દેખાવ ના કરવો. દાસના દાસ થઈને સેવા કરીએ. સેવા કરવામાં ભગવાન અને સંતને રાજી કરવાનું જ તાન રાખવું. પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજે એક વખત સેવાનો સંકલ્પ કર્યો અને સંપૂર્ણ જીવન સેવામાં સમર્પિત કર્યું.'
પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સત્પુરૂષ દિન ઉજવાયો હતો. જેમાં સાયંસભામાં પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂજય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. સાથે તેઓએ સત્પુરુષનો મહિમા જણાવતા કહ્યું હતું કે, સ્વયં ભગવાન સ્વામિનારાયણે આ વર સૌને આપેલો છે કે ભગવાન કે ભગવાનના સંત પરમાર્થ કાર્ય માટે હંમેશા પૃથ્વી પર વિચરતા રહેશે. રૂપ બદલાય છે પરંતુ સ્વરૂપ એનું એ જ છે. નામ બદલાય છે પરંતુ કાર્ય એનું એ જ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘ડો.અક્ષરબ્રહ્મ'વિષય પર અદ્દભુત સંવાદ રજૂ થયો હતો.
ગઈ કાલે સાયંસભામાં આશીર્વચનમાં પરમ પૂજય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, ‘સત્સંગમાં દ્રઢ શ્રદ્ધા જોઈએ. નિષ્કપટ ભાવે શુધ્ધભાવે સત્સંગ કરવો. ભગવાનના વચનમાં ચાલે તે સત્પુરૂષ કહેવાય. સત્પુરુષના યોગ વિના ભગવાન સમજતા જ નથી. ભગવાનના સાધુ માટે જે કંઈ કરીએ એ પરમ લાભ છે.'
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાતી અનેક સામાજિક પ્રવૃતિનાં ભાગરૂપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર દ્વારા મંદિરનાં પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧હજારથી અધિક ભાવિક ભક્તોએ આ કેમ્પનો લાભ લીધેલ છે. આવતીકાલ સુધી તેઓની કિલનિકમાં ફ્રી સારવાર મળશે જેની કૂપન અહી મંદિરેથી પ્રાપ્ત થશે. આવતીકાલે સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મંદિરે રક્તદાન કેમ્પ યોજાશે જેમાં પણ સૌ ભાવિક ભક્તો જોડાઈ શકશે.