ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતના દર્દીઓની દયનિય હાલત : મનીષાબા વાળા
બુધ્ધીજીવી પીઢ અનુભવીઓ આરોગ્ય વિભાગનું સુકાન સંભાળે તેવી અપેક્ષા વ્યકત
રાજકોટ તા. ૧ : આજે ૧ મી ગુજરાત સ્થાપના દિવસ છે. ત્યારે લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવવા સાથે શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાએ આક્રોશ વ્યકત કરતા જણાવેલ છે કે ગુજરાતના સ્થાપના દિવસે જ ગુજરાતના દર્દીઓની દયનિય હાલત જોવા મળી રહી છે.તેઓએ જણાવ્યુ છે કે કોરોના મહામારીમાં ભ્રષ્ટાચારી ભાજપ સરકારના પાપે દર્દીઓએ ઓકિસજનના બાટલા માટે વલખા મારવા પડે છે. સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. આમા કયા મોઢે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી શકાય.
નમસ્તે ટ્રમ્પ, પેટા ચુંટણી, સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ, નમો ક્રિકેટ સ્ટેડીયમમાં મેચ જેવા આયોજનો કરી ગુજરાતની જનતાની જીંદગી સાથે ચેડા કરનાર ભાજપ સરકારને આવનારા દિવસોમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.
હાલની પરિસ્થિતિ કાબુમાં લેવા બુધ્ધીજીવી ગ્રેજયુએટ પીઢ અનુભવી લોકોને આરોગ્ય બાબતે જવાબદારી સોંપવામાં આવે તેવી અપેક્ષા અંતમાં શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મનીષાબા વાળાએ વ્યકત કરી છે.