રાજકોટ
News of Saturday, 1st May 2021

બિનજરૂરી ઓક્સિજન માગતી ૧૪ હોસ્પિટલ લિસ્ટમાંથી દૂર

હાલ ૮૮ હોસ્પિટલોને ઓક્સિજન પુરુ પડાયું : તંત્રની કડક કાર્યવાહી : હાલમાં રાજકોટમાં ઓક્સિજનની સ્થિતિ ધીરે ધીરે થાળે પડતી હોવાનો વહીવટી તંત્રનો દાવો

રાજકોટ,તા.૩૦ : રાજકોટમાં ૨૪ કલાકમાં ૫૭ દર્દીના મોત નિપજ્યા છે. જેથી પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે. રાજકોટમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. આવામાં ખાનગી હોસ્પિટલો પાસે પણ ઓક્સિજન નથી. પરંતુ કેટલી હોસ્પિટલ બિનજરૂરી ઓક્સિજનના સપ્લાયની માંગ કરતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવી હોસ્પિટલ સામે તંત્રએ લાલ આઁખ કરી છે. રાજકોટમાં ઓક્સિજનની જરૂર ન હોવા છતાં ડિમાન્ડ કરતી ૧૪ હોસ્પિટલો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટની ૧૪ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવામાંથી બાકાત કરી દેવામાં આવી છે. બે દિવસ પહેલા શહેરની ૧૦૨ હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવ્યો હતો. છતાં પણ કેટલીક હોસ્પિટલો પાસે ઓક્સિજન હોવા છતાં ડિમાન્ડ મૂકવામાં આવી હતી. તેથી બિનજરૂરી ઓક્સિજન માંગતી ૧૪ હોસ્પિટલોના નામ વહીવટી તંત્રએ લિસ્ટમાંથી બાકાત કર્યાં છે. હાલ માત્ર ૮૮ હોસ્પિટલોને ઓક્સિજન આપવામાં આવ્યું છે.

હાલ રાજકોટમાં ઓક્સિજનની સ્થિતિ ધીરે ધીરે થાળે પડતી હોવાનો તંત્રનો દાવો છે. આજે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ફરી દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તબીબો દર્દીઓને ચકાસવામાં આવી રહ્યાં છે. ઈમરજન્સી જણાય તો દર્દીને કોવિડ હોસ્પિટલમાં સીધા દાખલ કરાય છે. આ દ્રશ્ય રાજકોટમાં કોરોનાની કથળતી સ્થિતિ બતાવે છે. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ દર્દીઓની લાંબો કતારો જોવા મળી રહી છે. છકડો રિક્ષામાં દર્દીની સારવાર કરવા પરિવાર મજબૂર બન્યા છે. દર્દીનું ઓક્સિજન લેવલ ૪૫ જ આવતું હોવા છતાં મોડી રાતથી સ્વજનો તેમને લાઈનમાં લઈને ઉભા છે. ઝી ૨૪ કલાક દર્દીની વ્હારે આવતા દર્દીને તબીબે ચકાસતા ઇમરજન્સી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

(9:27 am IST)