અલ્પેશ કથીરીયાને તાકિદે જેલ મુકત કરોઃ આણંદમાં પિયુષ કાકડીયાને મારનાર પોલીસ અધિકારીઓ સામે પગલા ભરો
પાટીદાર અનામત આંદોલન સમિતિનું કલેકટરને આવેદનઃ માંગ નહી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન
પાસના આગેવાનોએ આજે કલેકટરને આવેદન પાઠવ્યુ હતુ તે પ્રસંગની તસ્વીર. પ્રથમ તસ્વીરમાં તમામને કલેકટર સમક્ષ જવા બાબતે ઉપસ્થિત પોલીસ અધિકારી સાથે જીભાજોડી જામી ગઈ હતી તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧: પાટીદાર અનામત આંદોલન સમિતિના રાજકોટ જિલ્લા એકમે આજે કલેકટરને આવેદન પાઠવી પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની જેલ મુકિત બાબત અને નિર્દોષ યુવાન પર અત્યાચાર કરવા બદલ જવાબદાર પોલીસ અધિકારી વિરૂદ્ધ કાયદાકિય પગલા લેવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારો નિર્દોષ યુવા આંદોલનકારી અલ્પેશ કથિરીયા સરકાર દ્વારા કરાવવામાં આવેલ ખોટા રાજદ્રોહના કેસમાં જેલમાં ગોંધી રાખવામાં આવ્યો છે. તેને ત્વરીતપણે જેલ મુકત કરવામાં આવે, તેમજ ગત વખતે આણંદમાં નરેન્દ્ર મોદી આવતા અમારા નિર્દોષ યુવાન પિયુષ કાકડીયાને પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. તેમાં જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહીની માંગ કરીએ છીએ. જો અમારી માંગ નહી સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.