સરધાર-હલેન્ડા વચ્ચે રિક્ષા પલ્ટી જતાં અમરજીતનગરના બાબુભાઇનું મોત
પત્નિ-પુત્ર સાથે લાઠી ભત્રીજા વહુના સિમંત પ્રસંગમાં હાજરી આપી પરત આવતાં હતાં ત્યારે બનાવઃસરવૈયા પરિવારમાં શોક
રાજકોટ તા. ૧: સરધાર અને હલેન્ડા વચ્ચે ગત સાંજે રિક્ષા પલ્ટી મારી જતાં રાજકોટના પ્રોૈઢનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નિ અને પુત્રનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. લાઠી સિમંત પ્રસંગમાં હાજરી આપી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ એરપોર્ટ રોડ પર બગીચા નજીક અમરજીતનગરમાં રહેતાં બાબુભાઇ શામજીભાઇ સરવૈયા (ઉ.વ.૫૫) ગઇકાલે રિક્ષામાં પત્નિ મીનાબેન અને પુત્ર જયરાજ (ઉ.૧૫)ને લઇ લાઠી ખાતે ભત્રીજાવહુના સિમંત પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. સાંજે ત્યાંથી પરત આવતાં હતાં ત્યારે હલેન્ડા સરધાર વચ્ચે રિક્ષા પલ્ટી મારી જતાં બાબુભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બાબુભાઇ ભાડાની રિક્ષા હંકારતાં હતાં. તે પાંચ બહેન અને ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.