Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૧૭ વર્ષથી નાસતો-ફરતો આરોપી પકડાતા હાઇકોર્ટ દ્વારા જામીન પર

રાજકોટ, તા. ૧૮ : ૧૭ વર્ષથી નાસતા ફરતા મેડીકલેઇમ તથા વિમાના કૌભાંડમાં આરોપીનો જામીન ઉપર છૂટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

 

રાજકોટમાં રહેતા દેવીબેન શિવુભાઇ રોજરાએ રોબીન્સન ઇમ્પેકટ ઇન્ડીયા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તા. ૧ર-પ-ર૦૦૧ના રોજ વિમા ઉતરાવવા માટે લાલચ પ્રલોભન આપી ગેલેકસી હોટલમાં સેમિનારો યોજી અને એક વર્ષ માટે માતબર રકમનો વિમો તથા અન્ય લાભોની લલચામણી જાહેરાતો કરી રોબીન્સન કંપનીના સંચાલકોએ રાજકોટની જાહેર જનતાને લલચાવી ફોસલાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરવા અંગેની ફરીયાદ આપેલ હતી અને જેમાં રોબીન્સન ઇમ્પેકટ ઇન્ડીયા, રાજકોટના કેતનભાઇ જોલા, સોહીલ શેખ વિગેરે આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં જે તે વખતે તપાસના કામે કુલ-૬ આરોપીઓની ધરપકડ થયેલ અને તેઓ વિરૂદ્ધ પૂરતા પુરાવાઓ હોય ચાર્જશીટ થયેલ હતું. આ ગુન્હામાં અમદાવાદના ઓમપ્રકાશ કાશ્મીરીલાલ પંજાબી કે જે આ રોબીન્સન ઇમ્પેકટ ઇન્ડીયાના ચેરમેન હોય તેઓને નાસતા ફરતા બતાવવામાં આવેલ હતા. આ આરોપી ૧૭ વર્ષોથી ભાગેડુ હોય ડી.સી.બી. પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવેલ અને તેઓની અમદાવાદથી ડી.સી.બી. પોલીસે ધરપકડ કરેલ હતી અને પીએસઆઇ કાનમીયાએ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરી આરોપીને જેલ હવાલે કરેલ હતો.

ઉપરોકત આરોપીની ધરપકડ થતા તેઓએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી જે જામીન અરજી તા. ૯-૭-૧૮ના રોજ અદાલતે રદ કરેલ હતી. જેથી આરોપીએ તાત્કાલીક ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ અને બચાવ પક્ષે એવી દલીલ કરેલ હતી કે આરોપીને ખોટી રીતે નાસતા ફરતા બતાવવામાં આવેલ છે તેઓ અમદાવાદના નીત્ય નિવાસી છે. બીલ્ડીંગ કન્સ્ટ્રકશનના ધંધામાં સંકળાયેલ છે. અમદાવાદમાં છેલ્લા ૧૭ વર્ષમાં જુદા જુદા પ્રોજેકટો કરેલ છે અને આરોપી કેન્સરની બીમારીથી પીડાઇ રહેલ છે તથા આ કામમાં પોલીસે કોઇ ૭૦નું વોરંટ મેળવેલ હોય તેવો પણ પુરાવો રેકર્ડ ઉપર નથી તથા ચાર્જશીટમાં દર્શાવેલ સાહેદોની રકમ રૂ. ૧૬,૦૦,૦૦૦/ આરોપી કોર્ટમાં પોતાના હીતને નુકશાન ન જાય તે રીતે ભરવા તૈયાર છે તેવા સંજોગોમાં સુપ્રિમ કોર્ટે જણાવેલ જુદા જુદા ચૂકાદા રજુ કરેલ હતા અને આરોપીને જામીન ઉપર છોડવા રજૂઆતો કરેલ હતી.

ઉપરોકત રજુઆતો આરોપીની શારીરીક સ્થિતિ તથા કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે આરોપીને તા. ૧૪-૭-૧૮ના રોજ બે સદ્ધર જામીન રજૂ કર્યે જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ છે અને આરોપીને પૈસા ભરવા માટે બે અઠવાડીયાનો સમય પણ આપેલ છે.

આ કામમાં બચાવપક્ષે રાજકોટના યુવા એડવોકેટ વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મીલન જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતાં. (૮.ર૦)

(3:53 pm IST)