Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સંતોનો પ્રેમ પાણી જેવો હોય : રાજકોટે મને ગુરૂ- શિષ્યનો યોગ કરાવ્યો : પૂ.નમ્રમુનિ

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની તપસમ્રાટ તીર્થધામ ખાતે પધરામણી

રાજકોટઃ ગાદીના ગામ ગોંડલ ખાતે ગોંડલ સંપ્રદાયના આદ્યસ્થાપક આ.ભ.પૂ.ડુંગરસિંહજી મ.સા.ની રવિવારે ૧૯૭મી પુણ્યતિથી નિમિતે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં નિશ્રા પ્રદાન કરવા વિહાર કરી રહેલ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. વહેલી સવારે શહેરના ભાગોળે આવેલ તપસમ્રાટ ગુરૂદેવ પૂ.રતિલાલજી મ.સા.ના સમાધી સ્થળ તપસમ્રાટ તીર્થધામ ખાતે પાવન પર્દાપણ કરેલ. પૂ.નમ્રમુનિ મ.સા.એ પૂ.ગુરૂદેવના સમાધી સ્થળ ખાતે સ્થિરતા કરી હતી. જયાં તેમણે શ્રાવક- શ્રાવીકાઓને દર્શન- વાણીનો લાભ આપ્યો હતો. પૂ.નમ્રમુનિ મ.સા. કાલે ગોંડલ તરફ વિહાર કરવાના ભાવ રાખે છે.

તપસમ્રાટ તીર્થધામ ખાતે પૂ.નમ્રમુનિ મ.સા.એ જણાવેલ કે સંતોનો પ્રેમ પાણી જેવો હોય છે. જયારે સંસારીનો તેલ જેવો હોય. કપડામાં પાણી હોય ત્યારે ઠંડક આપે છે અને જયારે સુકાઈ જાય ત્યારે મજબૂતાઈ આપે છે. રાજકોટ વિશે વાત કરતા પૂ.ગુરૂદેુવે જણાવેલ કે રાજકોટમાં સાત ચોમાસા કર્યા છે અને રાજકોટે જ મને મારા ગુરૂનો યોગ કરાવ્યો અને શિષ્યનો પણ યોગ કરાવ્યો છે. પૂ.શ્રીએ ગુરૂ ભગવંતો અંગે ભાવ પ્રગટ કરી જણાવેલ કે ગુરૂકૃપાથી બધુ શકય છે. ઉપકારી ગુરૂ ભગવંતોના કારણે આજે ગોંડલ સંપ્રદાય વટવૃક્ષ બની ગયો છે. તેમણે વધુમાં જણાવેલ કે ઉપકારીઓના ઉપકાર જેના મનમાં કાયમ હોય તેને ગમે તેવા વાવાઝોડા પણ હલાવી શકતા નથી. મહાપુરૂષોના દેહ પરમાણુ જે ક્ષેત્રમાં વિર્સજીત થયા હોય તે પરમાણુની ઉર્જા અસંખ્ય કાળ સુધી અનુભવી શકાય છે એવા જ આ તપસમ્રાટ તીર્થધામ પણ ત્રિ-તીર્થ બની ગયુ છે. પૂ.નમ્રમુનિ આ. ઠા. કાલે સવારે ગોંડલ તરફ વિહાર કરવાના ભાવ ધરાવે છે.

તપસમ્રાટ તીર્થધામ ખાતે પૂ.સુશાંતમુનિ, પૂ.નમ્રમુનિ મ. સા., પૂ. વિનમ્રમુનિ મ.સા. તથા સુનિતાબાઈ મ.સ., રૂપાબાઈ મ. સ., પવિત્રાબાઈ મ.સ. સાથે નવદીક્ષિતો દર્શન - વાણીનો લાભ આપી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

આજે જિન શાસન સ્થાપના દિવસ

પૂ.સાધુ - સાધ્વીજીઓ તીથઁકર પરમાત્માના અનંતા ઉપકારોનનું પ્રવચન દરમ્યાન સ્મરણ કરાવશે

જૈન દર્શનમાં જે જે તીર્થ કરો થાય છે તેઓ નવું તીર્થ ઊભું નથી કરતાં પણ માત્ર તીર્થનો પુનરુધ્ધાર કરે છે.પ્રભુ મહાવીર પણ અનંતા તીર્થંકરોની પરંપરાને જ અનુસર્યા.અત્યારે વિશ્વમાં મહાવીરના નામે અનેક લોકો  પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે.જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીર્થકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીથઁકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્મા પણ આ જઙ્ગ ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ ૩૦ માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વર્ષ અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આર્ય તેમજ અનાર્ય ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ-ગજબની સાધના - આરાધના કરી.કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે વૈશાખ સુદ દશમના પ્રભુને કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે દેશના અર્થાત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે કોઇ જીવાત્માએ વ્રત - પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં. આ ઘટના જૈન દર્શનમાં આશ્યર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ બોધ આપ્યો.પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા તો અમુક પૂણ્યશાળી આત્માઓએ પંચ મહાવ્રત ધારણ કરી સાધુ - સાધ્વીજી બન્યાં.

આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે કે સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા. પ્રભુના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો,૩૬૦૦૦ શ્રમણીઓ,૧૫૯૦૦૦ શ્રાવકો તથા ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ દેશના શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુએ ખૂબ સુંદર વાત કરી કે જગતના દરેક જીવો સાથે પોતાના આત્મા સમાન વ્યવહાર રાખવો,જેવી રીતે અનંતા તીથઁકર ભગવંતો રાખતા હતા.ગૌતમ ગણધર હોય કે ગોશાલક,ચંદન બાળા હોય કે પછી ચંડ કૌશીક સર્પ હોય.પ્રભુએ ફરમાવ્યુ કે પ્રત્યેક જીવને સુખ પ્રિય છે,પોતાનું જીવન પ્રિય છે,મરવુ કોઈને ગમતું નથી.

ગણધર ભગવંતોએ પ્રભુની આગમરૂપી અમૃતવાણીની ગૂંથણી કરી આગમ - શાસ્ત્રો રૂપે આપણા સુધી પહોંચાડી અનંત ઉપકાર કર્યો.વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે,પારસી ધર્મમાં જે સ્થાન અવેસ્તાનું છે,ઈસાઈ ધર્મમાં જે સ્થાન બાઈબલનું છે,ઈસ્લામ ધર્મમાં જે સ્થાન કુરાનનું છે,તેવી રીતે જૈન ધર્મમાં આગમ - શાસ્ત્રોનું અનેરુ સ્થાન છે.આગમ એ અરિહંત તીથઁકર પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.એટલે જ કહેવાય છે આગમ એટલે જ અરિહંત.પ્રભુની અનંતી કૃપાથી જ વર્તમાનમાં આપણી પાસે આગમ અને અણગાર,સંતો અને શાસ્ત્રો રૂપી મહામૂલી મોંદ્યેરી મૂડી છે.પ્રભુ મહાવીર નિર્વાણ પધાર્યા ને ૨૫૪૪ વર્ષ થયા,હજુ પંચમ આરાના ૧૮૪૫૬ વર્ષ આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું, વિજયવંતુ, જયવંતુ રહેવાનું છે. તેમ મનોજ ડેલીવાળા (૯૮૨૪૧ ૧૪૪૩૯)એ જણાવેલ.

(12:04 pm IST)