Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પૂ.મહંત સ્વામીનું યુવાઓ દ્વારા સ્વાગત : હરીભકતોમાં હેલી

દરરોજ સાયંસભા - શાક હાટડી ઉત્સવ - સંતો દ્વારા કિર્તન આરાધના - સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પૂજય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્ત્।ે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. મહંતસ્વામી મહારાજ તા. ૧૦ નવેમ્બર રવિવાર સુધી કુલ ૧૨  દિવસ રાજકોટમાં રોકાણ કરશે. વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.

પૂ. મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરમાં અદ્દભુત કાઠીયાવાડી વસ્ત્રોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.. સાથે સાથે આસોપાલવના તોરણો, ફુલોની સુંદર રંગોળી, દીપમાળા, કળશ, ધજાઓથી સમગ્ર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ  વિશિષ્ટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.         

સ્વાગત સભામાં રાજકોટના મંદિરના કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્વામીએ પરમ પૂજય મહંતસ્વામી મહારાજને કલાત્મક હાર પહેરાવ્યો હતો આજના આ સ્વાગત સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ૫૦થી અધિક સંતો, કાર્યકરો અને ૧૦૦૦૦થી વધુ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.                   

પૂજય મહંતસ્વામી મહારાજના ૧૦ નવેમ્બર સુધીના રોકાણ દરમ્યાન પ્રતિદિન સવારે ૫:૩૦ થી ૮ દરમ્યાન પૂજાદર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. તા.૩૧-૧૦-૨૦૧૯ થી ૪-૧૧ સાંજે ૫:૩૦ થી ૮ સુધી સાયંસભામાં વરિષ્ઠ અને વિદ્વાન સંતો દ્વારા પારાયણનો લાભ પ્રાપ્ત થશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આશીર્વચન આપશે. તા. ૮-૧૧-૨૦૧૯ના રોજ સવારે ૫:૩૦ થી ૮ દરમ્યાન પ્રબોધિની એકાદશીના દિવસે શાક હાટડી ઉત્સવ ઉજવાશે અને બીજા દિવસે તા.૯-૧૧ના રોજ સાંજે ૪:૩૦ થી ૮ દરમ્યાન બી.એ.પી.એસ.સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધનાનો લાભ મળશે. ભાવિકોએ લાભ લેવા કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામી સહિત સૌ સંતોએ આમંત્રણ પાઠવ્યું છે.

(1:24 pm IST)