Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોકટરોએ ૧ વર્ષની સુહાનાનું જીવન 'સુહાનું' બનાવ્યું

રાજકોટ સિવિલના તબીબીઓએ દિકરીનાં નાકમાં ફસાયેલ કાચનું મોતી જટીલ સર્જરીની બહાર કાઢી મારો જીવ બચાવ્યો છે : સિકંદરભાઇ

રાજકોટ,તા.૩૧: 'દીકરી' આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળતા જ પ્રત્યેક વ્યકિતના હૃદયમાં વહાલનો દરિયો ઉમટી પડતો હોય છે. અમીર હોય કે ગરીબ, કોઇ પણ પરિવાર તેની દીકરી માટે સવિશેષ વહાલ ધરાવતો જ હોય છે. આવા આર્થિક  રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા કોઈ પરિવારના લાગણીના પુષ્પ સમી દીકરી હજુ તો માંડ ભાખોડીયા ભરતાં જ શિખી હોય અને તેને કોઈ શારીરિક તકલીફ થાય તો ? આવી કલ્પના કરવી જ મુશ્કેલ છે. કોરોનાની મહામારી વચ્ચે આવી જ એક ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બની છે. રાજકોટ સીવીલ હોસ્પિટલના તબીબોની ત્વરિત સારવારે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા સાવરકુંડલાના ફકીર પરિવારની માત્ર ૧ વર્ષની દિકરી સુહાનાને નવજીવન બક્ષ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા અને મજુરીકામ કરી ઘર-પરિવારનું ગુજરાન ચલાવતાં સિકંદરભાઈના ઘરે બે દીકરાના જન્મ બાદ દીકરીનો જન્મ થતાં પતિ-પત્ની બંને ખુશ હતા, તેમણે તે દીકરીનું નામ સુહાના રાખ્યું. સુહાના એકાદ વર્ષ થઈ અને ભાખોડિયાભેર ચાલતી-રમતી થઇ તેવા સમયે એક દિવસ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

માતા-પિતા બન્નેને માથે જાણે આભ તૂટી પડ્યું. હવે શું કરવું તેવી ચિંતા તેમને થઈ, તુરંત જ તેમણે અમરેલીના ડોકટરને બતાવ્યું, એક તરફ દીકરીનો જીવ બચાવવાની ચિંતા તો બીજી તરફ વિપરીત આર્થિક પરિસ્થિતિ. આવા સમયમાં તેમને સ્થાનિક ડોકટરોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી અને આ પરિવાર તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો.

પોતાના પરિવાર ઉપર આવેલી પડેલી આ આફતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ દેવદૂત બનીને તેમની વ્હાલસોયી દીકરીને આપેલ નવજીવનની ગદ્દગદિત સ્વરે વાત કરતા દીકરીના પિતા સિકંદરભાઈ કહે છે કે,'રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટર -મેડમે મારી દિકરી સુહાનાનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે. મારી દીકરીને શ્વાસનળીમાં કાચનું મોતી ફસાઈ ગયું હતું, એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તે શ્વાસ લે ત્યારે પણ અવાજ આવતો. આથી અમે પતિ-પત્ની ગભરાઈ ગયા અને તુરંત જ પહેલા અમરેલીના ખાનગી ડોકટરને બતાવ્યું તેણે કહ્યું કે અમારી સુહાનાના ગળામાં કંઇક ફસાઈ ગયું છે. તેથી તેનું ઓપરેશન કરવું પડે એટલે તમે રાજકોટ સિવિલમાં તેને લઈ જાવ. અમે તરત જ અહીં રાજકોટ સિવિલમાં આવ્યા અને અહીંના ડોકટરે અમારી દીકરી ને ચેક કરીને તેનું ઓપરેશન કરી તેના ગળામાંથી કાચનું મોતી કાઢીને તેને નવજીવન આપ્યું છે.

સિકંદરભાઈ પોતાની દીકરીને પુનઃ હસતા-રમતા ઙ્ગજોઈને આનંદિત થઈ ગદગદ્દીત સ્વરે સિવિલ હોસ્પિટલના ડોકટરોનો આભાર માનતા કહે છે, અહીંના ડોકટરો અમારા પરિવાર માટે દેવદૂત બનીને આવ્યા છે. અહીંયા અમે આવ્યા ત્યારથી અમને રજા આપવામાં આવી ત્યાં સુધી ઓપરેશન - સારવાર દરમિયાન અમે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી, એટલું જ નહીં અહિંયા અમને ભોજન પણ વિનામૂલ્યે આપવામાં આવતું હતું'

(3:12 pm IST)