રાજકોટ તા. ૩૦ : રાજકોટ શહેર આસપાસના ગામો ઉપરાંત જિલ્લામાં આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણી સ્થિતિની આગોતરી સમીક્ષા કરવામા કલેકટર ડો. રાહુલ ગુપ્તાને અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રૂ. ૧૨૦૩.૩૨ લાખનો માસ્ટર પ્લાન સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અપૂરતા સ્ત્રોત ધરાવતા રાજકોટ જિલ્લાના ૧૪૪ ગામોને આવરી લઇ આ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. બાકીના ગામોમાં નર્મદા આધારિત અથવા તો સ્થાનિક સ્ત્રોત આધારિત પાણી વિતરણ વ્યવસ્થા હોવાથી ઉનાળા દરમિયાન કોઇ તકલીફ નહીં પડે, તેવી વિગતો આ બેઠકમાં રજૂ થઇ હતી.
આ માસ્ટર પ્લાનમાં રાજકોટ તાલુકાના ૨૫, પડધરીના ૨૬, લોધિકાના ૧૨, ગોંડલ તાલુકાના ૬, કોટડા સાંગાણીના ૮, જસદણના ૯, વિંછીયાના ૯, જેતપુરના ૧૨, ધોરાજીના ૧૪, ઉપલેટાના ૧૪ તથા જામકંડોરણા તાલુકાના ૯ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ૨૦૦ એમએમ બોર પાવર પમ્પ આધારિત ૭૭ ગામો, ડીપ ટ્યુબ વેલ આધારિત ૧૬, સૌની યોજનાના નવીનીકરણ આધારે ૫, પાણી પુરવઠા યોજના વિસ્તરણ આધારે ૧૧, કૂવાને ઉંડા ઉતારવા અથવા નવા કૂવા બનાવવાના આયોજનમાં ૨૭ ગામોને આવરી લેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાને કૂલ ૧૨ મોટા જળાશયોમાંથી પીવાનું પાણી મળે છે. જેની સ્થિતિની સમીક્ષા કરીએ તો રાજકોટ શહેર, જેતપુર, અમરનગર સહિતને પીવાનું પાણી પૂરૂ પાડતા ભાદર ડેમમાં ૨૩૨૮ એમસીએફટી પાણી ભર્યું છે. આ ડેમમાંથી ૩૧-૭-૨૦૧૯ સુધી પાણી મળે એમ છે. જયારે, જેતપુર શહેર તથા બીજા ગામો માટે નર્મદા કનેકિટવિટી (એનસી-૩૭) લાઇનનું કામ પણ તાબડતોબ ધોરણે ચાલે છે. જે ત્રણચાર માસમાં પૂર્ણ થઇ જશે. એ પૂર્ણ થાય એટલે ગામોને તેના સ્ટોરેજ ટેન્ક સુધી નર્મદાના પાણી મળી જશે. ભાદર ડેમ-૨નું પાણી ૩૧-૮-૧૯ સુધી મળશે. આજી ડેમ-૧ને સૌની યોજના અંતર્ગત પાણીથી ભરી શકાય એમ છે. બાકીના મચ્છુ-૧, મોજ, વેણુ, ફોફળ ડેમ જુનજુલાઇ-૨૦૧૯ સુધી ચાલે એમ છે.
તાલુકા પ્રમાણે આયોજન જોઇએ તો રાજકોટ તાલુકા માટે રૂ. ૩૨૬ લાખ, પડધરી માટે ૨૧૮ લાખ, લોધિકા માટે ૮૧ લાખ, ગોંડલ માટે ૫૧ લાખ, કોટડા સાંગાણી માટે ૬૬ લાખ, જસદણ માટે રૂ. ૬૯ લાખ, વિંછીયા તાલુકા માટે રૂ. ૮૦ લાખ, જેતપુર માટે રૂ. ૬૨ લાખ, ધોરાજી માટે રૂ. ૭૮ લાખ, ઉપલેટા માટે રૂ. ૯૮ લાખ અને જામકંડોરણા માટે રૂ. ૭૧ લાખનું આયોજન સરકારમાં મોકલવામાં આવશે.
કલેકટર ડો. ગુપ્તાએ કહ્યું કે, કોઇ પણ ગામને પીવાના પાણીની તકલીફ ના પડે એ રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જરૂર પડે ત્યાં ટેન્કર દોડાવવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસિયા, નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડ્યા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી જોધાણી સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૦)