Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

૧૭ વર્ષની મોનિકાએ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું: આર્થિક સંકડામણની શકયતા

કોઠારીયા સોલવન્ટમાં માતા સાથે રહેતી પિતા વિહોણી મોનીકા તેના માતા કચ્છ દર્શને ગયા હોઇ ચારેક દિવસથી ગોંડલ રોડ ચોકડીએ બહેન-બનેવીના ઘરે રોકાઇ'તી

રાજકોટ તા. ૩૦: કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં માતા સાથે રહેતી પિતા વિહોણી છાત્રા મોનિકા મહિપતસિંહ વાઘેલા (ઉ.વ.૧૭)એ ગોંડલ રોડ ચોકડીએ રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતાં પોતાના બહેન-બનેવીના ઘરે દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આર્થિક સંકડામણ કારણભુત હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

મોનિકાએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા, કોૈશેન્દ્રસિંહ, કેતનભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર મોનિકા ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. તેના પિતાનું ૨૦૧૦માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બે ભાઇઓ પણ હયાત નથી. ત્રણ બહેનોમાં તેણી સોૈથી નાની હતી.

તેના માતા ચાર દિવસ પહેલા કચ્છ માતાના મઢે પગપાળા દર્શન કરવા માટે ગયા હોઇ તેણી હાલમાં બહેન-બનેવીના ઘરે રોકાઇ હતી. જ્યાં તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોઇ તે કારણે આ પગલુ ભર્યાનું હાલ પોલીસનું અનુમાન છે. વિશેષ નિવેદન બાકી હોઇ તપાસ યથાવત રખાઇ છે.

(1:16 pm IST)