Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ભગવતીપરાની શારદાદેવીનું મોત ગળાફાંસાથી થયાનો રિપોર્ટઃ ઓરડીના હુકમાં ચુંદડીના નિશાન પણ મળ્યા

વીસ વર્ષના લગ્ન જીવનમાં સંતાન સુખ મળ્યું ન હોઇ આપઘાત કર્યાની શકયતાઃ લાશ પતિએ જ નશાની હાલતમાં ઉતારી લીધી અને બાદમા ગભરાઇને ભાગી ગયાની શકયતા : મૃતકના ભાઇ ભુપેન્દ્રસિંહે કહ્યું-મારા બહેનને બનેવી કોઇ દિવસ મારે નહિઃ મને પણ વર્ષોથી બંનેએ સાચવ્યો છે

રાજકોટ તા. ૩૦: શહેરના ભગવતીપરા મેઇન રોડ પર નંદનવન સોસાયટી-૩માં રહેતી મુળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની મહિલા શારદાદેવી બલરામસિંગ ભદોરીયા (ઉ.વ.૩૫)ની ગઇકાલે બપોર બાદ તેના જ ઘરમાંથી લાશ મળી આવતાં ચકચાર જાગી હતી. ગળા પર ટૂંપો અપાયો હોય તેવા નિશાન હતાં. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આ શંકા સાચી ઠરી છે. મોત ગળાફાંસાથી જ થયાનું સ્પષ્ટ થયું છે. જો કે બીજી તરફ મહિલાએ આપઘાત કર્યાની શકયતા પણ વધુ જણાઇ રહી છે. ઓરડીમાં છતના હુકમાં ફાંસો ખાવા માટે બાંધેલી ચુંદડીના તાંતણા પણ પોલીસને મળ્યા છે. વીસ વર્ષના લગ્ન જીવનમાં સંતાન સુખ ન મળ્યું હોઇ તે કારણે કદાચ તેણીએ આ પગલુ ભર્યાની શકયતા જોવાઇ રહી છે.ગઇકાલે શારદાદેવીની લાશ તેની ઓરડીમાંથી મળી આવી હતી. જે તે વખતે તેનો પતિ બલરામસિંગ હાજર નહોતો. તેણીનો ભાઇ ભુપેન્દ્રસિંહ બહારથી ઘરે આવ્યો ત્યારે બહેનની લાશ જોઇ હતી. એ પછી પતિ પણ નશો કરેલી હાલતમાં ઘરે પહોંચ્યો હતો અને પોક મુકી હતી. લોકોનું ટોળુ એકઠુ થઇ જતાં અને હત્યા થયાની વાત વહેથી થઇ જતાં  બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ, રશ્મીનભાઇ પટેલ તથા ડી. સ્ટાફની ટીમ પહોંચી ગઇ હતી. મૃતદેહનું આજે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાયું હતું. જેમાં ગળાફાંસાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો છે.

પોલીસે મૃતકના પતિ અને ભાઇની પુછતાછ કરતાં એવી વિગતો સામે આવી હતી કે ગઇકાલે સવારે આઠેક વાગ્યે શારદાદેવીએ નાસ્તો બનાવી આપ્યા બાદ પતિ બલરામસિંગ અને ભાઇ ભુપેન્દ્રસિંગ કામ શોધવા નીકળ્યા હતાં. પારેવડી ચોકમાંથી બંને સાળો-બનેવી અલગ પડ્યા હતાં. ત્યારે બલરામસિંગે પોતે રતનપર કામ શોધવા જાય છે તેવું કહ્યું હતું. બપોર બાદ ભાઇ ભુપેન્દ્રસિંગ ઘરે આવ્યો ત્યારે બહેનને મૃત જોઇ હતી. એ પછી તેણીનો પતિ પણ આવ્યો હતો. બનાવ હત્યાનો કે આત્મહત્યાનો તે જાણવા પોલીસે તપાસ કરતાં ઓરડીમાં છતના હુકમાં ચુંદડી બાંધી હોય તેના નિશાન મળ્યા હતાં. કોઇએ અથવા તો ખુદ પતિએ બહારથી આવી શારદાદેવીને લટકતી જોયા પછી લાશ ઉતારી લીધી હોય અને બાદમાં ગભરાઇને નીકળી ગયો હોય તેવી શકયતા છે. મૃતકના ભાઇ ભુપેન્દ્રસિંગે કહ્યું હતું કે મારા બનેવી કોઇ દિવસ મારી બહેનને મારી શકે નહિ. મને પણ આ બંને ખુબ સારી રીતે સાચવતાં. બેન-બનેવીને સંતાન ન હોઇ કદાચ એ કારણે બહેને આપઘાત કર્યો હોઇ શકે. પોલીસે હજુ પણ અમુક મુદ્દે તપાસ યથાવત રાખી છે.

(3:02 pm IST)