Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કન્ટેઇનમેન્ટ ઝોન જંગલેશ્વરમાંથી રાજમીન પતાણી સગીરાને ભગાડી ગયો

સગીરા ફઇના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન આવીઃ તપાસ થતાં વિસ્તારમાં જ રહેતો પ્રેમી ભગાડી ગયાનું જાણવા મળતાં ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ૩૦: કોરોનાને કારણે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયેલા જંગલેશ્વરમાંથી એક સગીરાને આ વિસ્તારમાં જ રહેતો પ્રેમી ભગાડી જતાં વાત પોલીસ સુધી પહોંચતા અપહરણનો ગુનો નોંધવામાં આવ્યા છે.

ભકિતનગર પોલીસે આ બારામાં જંગલેશ્વર-૨૮માં રહેતાં સિપાહી યુવાનની ફરિયાદ પરથી જંગલેશ્વર-૮/૧ સંજરી પાન પાસે રહેતાં રાજમીન રજાકભાઇ પતાણી સામે આઇપીસી ૩૬૩, ૬૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

રિક્ષાચાલક ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સગીર વયની છે અને ઘરમાં મદદરૂપ થવા કારખાનામાં કામે જતી હતી. પણ લોકડાઉનને કારણે હાલ કારખાનુ બંધ હોઇ તે ઘરકામમાં મદદ કરે છે. ૨૮/૫ના  બધા ઘરે હતાં ત્યારે ૧૬ વર્ષ ૯ માસની વય ધરાવતી દિકરી નજીકમાં રહેતાં ફઇના ઘરે જવાનું કહીને નીકળી હતી. પરંતુ સાંજ સુધી પરત ન આવતાં ત્યાં તપાસ કરવા જતાં તેણી ફઇના ઘરે પહોંચી જ ન હોવાની ખબર પડતાં તેની ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો.

એ પછી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણીને જંગલેશ્વર-૮/૧માં રહેતાં રાજમીન પતાણી સાથે પ્રેમસંબંધ હોઇ આ શખ્સ જ તેણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદ ઇરાદે ભગાડી ગયો છે. તેણી ઘરેથી નીકળી ત્યારે પીળા કલરનો બાંધણી ડિઝાઇનનો ડ્રેસ પહેર્યો હતો.

સગીરા ગુમ થવાના કિસ્સામાં પીઆઇ વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:00 pm IST)