Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોના થવાનો ભય લાગતા નિકીતાબેન રાઠોડનો બાથરૂમ સાફ કરવાનું લીકવીડ પી આપઘાત

મોરબી રોડ કલ્પતરૂ સોસાયટીમાં બનાવઃ મહિલાને બે દિવસથી તાવ આવતો'તો

રાજકોટ તા.૩૦ : મોરબી રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં રહેતી મહિલાને બે દિવસથી તાવ આવતો હોઇ તેને કોરોના થયો હોવાનો ભય લાગતા બાથરૂમ સાફ કરવાનું લીકવીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે આવેલી કલ્પતરૂ સોસાયટીમાં રહેતા નિકીતાબેન વિજયભાઇ રાઠોડ (ઉ.વ.૩૭)એ ગઇકાલે પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનું લીકવીડ પી લીધુ હતુ. તેના સાસુ રૂમમાં આવ્યા ત્યારે નિકીતાબેનને બેભાન હાલતમાં પડેલા જોઇને દેકારો બોલાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તાકીદે સારવાર માટે સિનર્જી હોસ્પિટલ બાદ ત્યાંથી ગોકુલ હોસ્પિટલમાં ખસેાયા હતા.

બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનાં એ.એસ.આઇ. કર્મદીપભાઇ વાળા તથા રાઇટર હાર્દિકભાઇ સ્થળપર પહોંચી મહિલાને પુછતા તેણે જણાવ્યું હતું કે પતિ ટ્રકનું બોડીકામ ગેરેજ ધરાવે છે તેને સંતાનમાં એક ૧ર વર્ષના અને એક ૯ વર્ષના બે પુત્ર છે. પોતાને બે દિવસથી તાવ આવતો હોઇ તેથી કોરોના થવાનો ભય લાગતા પોતે આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતુ. દરમિયાન રાત્રે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ અંગે એએસઆઇ કે.યુ.વાળાએ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)