Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભાજપ નગરપાલિકાઓમાં નિષ્ફળ સાબીતઃ કોંગ્રેસ પ્રમાણિક અને સુદૃઢ શાસન આપશે

પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની 'અકિલા' સાથે વાતચીતઃ ભાજપના ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અણઆવડતથી લોકો ત્રાહિમામ

રાજકોટ, તા. ૩૦ : ભાજપ શાસીત નગરપાલિકાઓમાં લોકોને પ્રાથમિક જીવન જરૂરીયાતની સવલતો આપવામાં સરીયામ નિષ્ફળ રહેલા શાસકોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગેરવહીવટ, ભ્રષ્ટાચાર તથા અણઆવડતના દર્શન કરાવનારા ભાજપને લોકો જાકારો આપવા તત્પર છે ત્યારે કોંગ્રેસ પ્રમાણિક અને સુદૃઢ શાસન આપવા કટિબદ્ધ છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્મુખ ભરતસિંહજી સોલંકીએ આજે 'અકિલા'સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

 

તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં વર્ષોથી સરકાર હોવા છતાં લોકોની અપેક્ષામાં ઉણી ઉતરનાર ભાજપને શાણા મતદારોએ વિધાનસભામાં પોતાનો મિજાજ બતાવી દીધો છે અને આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપનો સફાયો નિશ્ચિત છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ રાજયની નગરપાલિકાઓમાં ભાજપી શાસકો લોકોની પ્રાથમિક સગવડો સાચવવામાં નિષ્ફળ સાબીત થાય છે. સર્વત્ર શાસકો સામે પાયાની સુવિધાઓ ન આપવા અંગે નાગરિકોમાં રોષ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે.

શ્રી સોલંકીના જણાવ્યા મુજબ ભાજપી નગરપાલિકા શાસકો તેમના શાસનકાળમાં ભ્રષ્ટાચાર, કૌભાંડો, ગેરવહીવટમાં જ રચ્યા પચ્યા રહ્યા છે, તેમની શાસનની અણઆવડત છાપરે ચડીને પોકારી રહી છે ત્યારે કોંગ્રેસ નગરપાલિકાઓમાં પ્રમાણિક અને સુદૃઢ શાસન માટે કટિબદ્ધ છે.

તેમના જણાવ્યા મુજબ આગામી નગરપાલિકાઓની ચૂંટણીમાં દરેક કોંગીજન એક બનીને ખભ્ભે-ખભ્ભા મિલાવી સંકલીત અને સંગઠીત બનીને ભાજપને જાકારો આપશે.

આજે રાજકોટ ખાતે સંકલન અને સંગઠનને વધુ મજબૂત બનાવીને ચૂંટણીઓની તૈયારી માટે સૌને કામે લાગી જવા હાકલ કરાશે ત્થા ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન અપાશે તથા સારા સુચનો પણ મેળવાશે તેમ તેઓએ ઉમેર્યું હતું. (૮.૮)

(11:43 am IST)