Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પાંચ દિવસીય તપસ્વી ગુરૂવર સ્મરણાંજલિ અવસર ઉજવાયો

ગોંડલ સંપ્રદાયના પ્રગટ પ્રભાવક તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ. સા.ની ૯૯મી પુણ્ય સ્મૃતિ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. આદિ સંત-સતીજીઓનાં સાંનિધ્યે : વેદનાની ભઠ્ઠીમાંથી કુંદનની જેમ ચમકીને બહાર આવતા હોય છે મહાપુરુષો પૂ. નમ્રમુનિ મ. સા.

રાજકોટઃ ૯૯ વર્ષ પહેલાં જેમના દેહની ઉપસ્થિતિ અગ્નિમાં રાખ થઈ જવાં છતાં આજે પણ જેઓ અનેક સંયમીઓના અને ભકતજનોનાં રખોપાં કરી રહ્યાં છે, જેમનું નામ સ્મરણ માત્ર અનેકોના વિઘ્નોને વિદાય આપી રહ્યું છે, એવાં પ્રગટ પ્રભાવક તપસ્વી ગુરુદેવ પૂજય શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબની ૯૯ ની પુણ્યસ્મૃતિ નિમિત્ત્।ે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે આયોજિત પાંચ દિવસીય તપસ્વી ગુરુવર સ્મરણાંજલિ અવસર  હજારો હૃદયને પરમ તત્વના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવી ગયો હતો.

હજારો હૃદયનાં આરાધ્યકેન્દ્ર સ્વરૂપ પૂજય તપસ્વી ગુરુદેવની પુણ્ય સ્મૃતિના આ અવસરે દેશ-પરદેશના હજારો ભાવિકો પાંચ-પાંચ દિવસ સુધી જય માણેકની જોડી, કર્મ નાખે તોડી  આ મંત્ર સાધનાનો શ્રદ્ઘાભાવે ગુંજારવ કરીને ધન્ય બન્યાં હતાં. પૂજય શ્રી તપસ્વી ગુરુદેવના ગુણ સમૃદ્ઘ જીવનની ઘટનાઓ તેમજ સમગ્ર જીવન કવન પર રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની પ્રેરણાથી રચાએલ સુંદર ગીત પંકિતઓને આ અવસરે લોકગીત શૈલીમાં શ્રી અમુદાનભાઈ ગઢવી દ્વારા અનોખી રીતે પ્રસ્તુત કરવામાં આવતાં સહુ તપસ્વી ગુરુદેવના જીવનકાળની જીવંત અનુભૂતિ કરી કૃતકૃતાર્થ બન્યાં હતાં.

પાંચ દિવસ સુધી અત્યંત મધુર વાણીથી, હૃદયસ્પર્શી શૈલીમાં તપસ્વી ગુરુદેવને ચિરસ્મરણીય વ્યકિતત્વ તરીકે ઓળખાવીને એમનું જીવન કવન વર્ણવતા પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, કેટલાંક આત્માઓ એવાં હોય છે જન્મ લેતાં પહેલાં અને વિદાય લેતાં પહેલાં પણ સંકેત આપી જતાં હોય છે. મહાપુરુષના ગુણો અને એમની સક્ષમતાઓ આસપાસના વાતાવરણને પણ અસર કરતી હોય છે. મહાનતાનો જન્મ હંમેશા પ્રતિકૂળતામાંથી જ થતો હોય છે. મહાપુરુષો હંમેશા જાતને અને જગતને અજવાળવા માટે જન્મ ધારણ કરતાં હોય છે. સુખ સામગ્રી અને સમૃદ્ઘિનો ભોગવટો કરીને કોઈ મહાપુરુષ ન બની શકે. ભોગી કદી વંદનીય ન બની શકે, પરંતુ ત્યાગી હંમેશા વંદનીય બનતાં હોય. કસોટીઓ અનેકના જીવનમાં આવતી હોય, ખોટ અનેકના જીવનમાં સર્જાતી હોય પરંતુ કસોટીમાંથી જે કલ્યાણનો માર્ગ કંડારે, ખોટમાંથી જે ખૂબીનુ સર્જન કરે તે મહાપુરુષ હોય છે.

તપસ્વી પૂજય શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબ એટલે એક એવા તપસ્વી જેમને માત્ર ૧૭ વર્ષની ઉમરે આજીવન પાણીનો ત્યાગ કર્યો હતો, ૧૨ વર્ષ સુધી છાશમાં લોટ ભેળવીને રસાસ્વાદનો ત્યાગ કર્યો હતો, ૧૮ મહિના સુધી લાકડાની ભૂકી અને છાશ વાપરેલ હતા અને બે કલાકથી વધારે નિદ્રા કરવાનો ત્યાગ કરેલ.

ઉપરાંતમાં, આ અવસર દરમ્યાન ઘાટકોપરના શ્રી કામાગલી સંઘથી પૂજયશ્રી ઉર્મિલાબાઈ મહાસતીજી, વસઈ - માણેકપુરથી ડો. પૂજય શ્રી આરતીબાઈ મહાસતીજી, ગિરનારથી ડો. પૂજયશ્રી ડોલરબાઈ મહાસતીજી, પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી, પૂજય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજી તેમજ રાજકોટ, રોયલ પાર્ક બિરાજીત પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજીએ પોતાના જીવનમાં અનુભવેલી તપસ્વી ગુરુદેવની પ્રગટ પ્રભાવકતાની ભાવભીની અભિવ્યકિત કરતાં હજારો હૃદય અભિવંદિત બન્યાં હતાં.

તપસ્વી ગુરુદેવનાં નામસ્મરણની જપ-સાધના, લોકગીત શૈલીમાં પ્રસ્તુત થયેલું એમનું સચિત્ર જીવન દર્શન, પરમ ગુરુદેવના શ્રીમુખેથી અભિવ્યકત થયેલાં એમના અનુપમ ગુણો, જેતપુર સ્થિત તપસ્વી ગુરૂદેવની ઓરડીના લાઈવ દર્શન, તેમજ પૂજય મહાસતીજીવૃંદના શ્રીમુખેથી પ્રગટ કરવામાં આવેલા પ્રભાવક પ્રસંગોનું શ્રવણ સાથે આ પાંચ દિવસીય અવસર હજારો ભાવિકોને તપસ્વી ગુરુદેવ પ્રત્યે નતમસ્તક કરી ગયો.

(3:40 pm IST)