Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે ૧૮ વર્ષની આરતી વાઘેલાનો ફાંસો ખાઇ આપઘાત

પિતા ઢોલ વગાડીને અને માતા બકાલુ લઇને ઘરે પહોંચ્યા ત્યાં દરવાજો બંધ હતો, પાટુ મારી તોડીને જોતાં દિકરી લટકતી મળીઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૯: ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે ગોૈશાળા નજીક મફતીયાપરામાં રહેતી આરતી પ્રવિણભાઇ વાઘેલા (ઉ.વ.૧૮) નામની યુવતિએ સાંજે ઘરમાં પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આરતીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં યુનિવર્સિટીના અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર આરતી બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા ઢોલ વગાડવાનું કામ કરે છે. પ્રવિણભાઇએ કહ્યું હતું કે હું પ્રસંગમાં ઢોલ વગાડીને સાંજે ઘરે પહોંચ્યો હતો એ વખતે જ મારા પત્નિ બકાલુ લેવા ગયા હોઇ તે પણ આવ્યા હતાં. દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવા છતાં નહિ ખોલાતાં પાટા મારીને દરવાજો તોડીને જોતાં દિકરી આરતી લટકતી જોવા મળી હતી. તેને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવી હતી. આપઘાતના કારણ અંગે પોતે અજાણ હોવાનું પ્રવિણભાઇએ કહેતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:41 pm IST)