Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોરોનાના ઇંજેકશનના કાળાબજાર કરી ગેરકાયદે રીતે વેચવાના ગુનામાં પકડાયેલ ડો. દિપક ગઢિયા સહિત સાત આરોપીની જામીન અરજી રદ

આરોપીઓએ કોરોના મહામારીનો લાભ ઉઠાવી આર્થિક લાભ મેળવેલ છેઃ સરકારી વકીલ અનિલ ગોગીયા

રાજકોટ તા. ર૮: રાજકોટ શહેરમાં કોરોનાના ઇન્જેકશનના કાળા બજાર અને ગેરકાયદેસર વેચાણના ગુન્હા સબબ પકડાયેલા ડોકટર સહીત ૭ આરોપીઓની રેગ્યુલર જામીન અરજીને સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ કામની વિગત એવી છે કે, રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ દ્વારા આઇપી.સી. કલમ ૪ર૦, ૪૧૪, આવશ્યક ચીજ વસ્તુ ધારા, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તથા ડ્રગ એન્ડ કોસ્મેટીક અધિનિયમના કાયદા હેઠળ રેમેડેસીવર કોરોનાના ઇન્જેકશનના ગેરકાયદેસર વેચાણ અને કાળા બજારના ગુન્હાના કામે અટક કરાયેલ આરોપીઓ દેવયાનીબેન જીતેન્દ્રભાઇ ચાવડા,  વિશાલ ભુપત ગોહેલ, અંકિત મનોજ રાઠોડ, જગદીશ ઇન્દ્રવદન શેઠ, હિંમતભાઇ કાળુભાઇ ચાવડા, ડો. દિપક દેવરાજભાઇ ગઢીયા તથા મુકેશ ભીખુભાઇ દ્વારા જામીન મુકત થવા રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી.

સરકાર પક્ષે જામીન અરજીનો વિરોધ કરતા જણાવવામાં આવેલ કે, હાલના અરજદાર આરોપીઓ વિરૂધ્ધ ગંભીર ગુન્હાના આક્ષેપો છે. અરજદાર આરોપીઓએ કોરોનાનો ભોગ બનનાર દરદીઓની દયનીય અને મજબુર પરિસ્થિતિનો લાભ લઇ રેમેડેસીવીર ઇન્જેકશન કે જેના સરકારી ભાવ રૂ. રપ૦૦/- હોવા છતાં આરોપી ડોકટર દિપક દેવરાજભાઇ ગઢીયા કે જેઓ બી.એચ.એમ.એસ.ની ડીગ્રી ધરાવતા હોવા છતાં તેઓએ કોવિડ-૧૯ ની સારવાર અર્થે સંક્રમીત થયેલ દર્દીના સગા પાસેથી સાચી એમઆરપી પ૪૦૦/- હોવા છતાં ઇન્જેકશનના રૂ. ૭,૦૦૦/- વસુલ લીધેલ આમ ૩ ઇન્જીકેશન લેખે ર૧,૦૦૦/- લઇ કાયદાનો ભંગ કરેલ તદઉપરાંત શાંતિ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દેવયાનીબેન જિતેન્દ્રભાઇ ચાવડા કોરોના વાયરસના ઇન્જેકશનના કાળા બજાર કરી ઉંચા ભાવે વેચાણ કરતા હોય છેલ્લે દેવયાની બહેન તથા વિશાલભાઇએ ડીકોયર યોગીતાબેનને તે ઇન્જેકશન મુળ કિંમતથી ઘણી વધુ કિંમતના રૂ. ૧૦,૦૦૦/- માં એક બે ની એક કિંમત રૂ. ર૦,૦૦૦/- માં વેચાણ કરી ઇન્જેકશનનો કાળા બજાર કરેલ. આમ આ તમામ આરોપીઓ ઇન્જેકશનની કાળા બજાર તેમજ ગેરકાયદેસર વેચાણમાં સંડોવણી જણાઇ આવેલ હોય તેમજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના ગંભીર કૃત્યને હળવાશથી લઇ શકાય નહીં. તમામ આરોપીઓને જામીન ઉપર મુકત કરી શકાય નહીં.

તમામ પક્ષોએ રજુ થયેલ દલીલો તેમજ પોલીસ પેપર્સ વગેરે ધ્યાને લીધા બાદ બીજા એડીશનલ સેશન્સ જજશ્રી આર. એલ. ઠકકર દ્વારા એવા તારણો ઉપર આવેલ કે, આરોપીઓએ કોરોના મહામારીના સંજોગો ગેરકાયદેસર લાભ ઉઠાવી રેમેડેસીવીર ઇન્જેકશનના કાળા બજાર કરી વધુ પૈસા કમાવવાનો ઇરાદો રાખેલ જેથી તેઓના આ ગંભીર પ્રકારના કૃત્યને હળવાશથી લઇ શકાય નહીં તથા પોલીસ તપાસ ચાલુ હોવાની હકીકત તેમજ તપાસમાં પડનાર વિપરીત અસરને ધ્યાને લેતા અરજદાર આરોપીઓને જામીન મુકત કરી શકાય નહીં અને તમામની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ હતો. જયારે આરોપી પંકજ વિનોદભાઇ દોમડીયાની જામીન અરજી કોર્ટે મંજુર કરી હતી.

આ કામે સરકારપક્ષે જિલ્લા સરકારી વકીલશ્રી સંજય કે. વોરા, અનિલ એસ. ગોગિયા, મહેશ જોષી, અતુલ જોષી, પ્રશાંત પટલેલ તેમજ સ્મિતાબેન અત્રીએ રજુઆત કરેલ હતી. આરોપી પંકજ દોમડીયા વતી એડવોકેટ વિવેક એલ. ધનેશા, કિશન એસ. રાજાણી અને વિજય સીતાપરા રોકાયા હતા.

(3:12 pm IST)