Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રત્નદિપ સોસાયટીમાં પત્નિ સાથેના કલેશને કારણે દિપક પરમારે ફાંસો ખાઇ જીવ દીધો

સાત વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ માળી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૯: સામા કાંઠે પેડક રોડ પર રત્નદિપ સોસાયટી-૨માં રહેતાં દિપક મોહનભાઇ પરમાર (ઉ.૩૪) નામના માળી યુવાને સાંજે ચારેક વાગ્યે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

દિપકભાઇ ગઇકાલે બપોર બાદ ઘરમાં એકલો હતો. તેનો ૭ વર્ષનો પુત્ર શાળાએ ગયો હતો અને પત્નિ ગીતાબેન નજીકમાં તેના માવતરે હતી. તેણી સાંજે ચારેક વાગ્યે ઘરે આવી ત્યારે પતિને લટકતો જોતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ કે.આર. ચોટલીયા અને રાઇટર હંસરાજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દિપકભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં પાંચમો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિપક લાદી કામની મજૂરી કરતો હતો. ગઇકાલે પત્નિ સાથે ચડભડ થતાં પોતે જ પુત્ર અને પત્નિને લઇને બપોરે ઘરેથી નીકળ્યો હતો. પુત્રને શાળાએ અને પત્નિને માવતરે મુકી આવ્યા બાદ આ પગલું ભર્યુ હતું. કલેશને કારણે આમ કર્યાનું બહાર આવ્યું છે. (૧૪.૫)

(11:51 am IST)