Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ને ૧૦ જૂને કલેકટરને આવેદન-ધરણા

મઝદુર સંઘ અને આંગણવાડી કર્મચારી સંઘની મીટીંગમાં નિર્ણય

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ જીલ્લા ભારતીય મઝદુર સંઘ તથા રાજકોટ જીલ્લા આંગણવાડી કર્મચારી સંઘની સંયુકત બેઠક તાજેતરમાં રાજકોટ ખાતે જીલ્લા પ્રમુખ મહેશભાઈ વેકરીયા તથા નયનાબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ બેઠકના પ્રારંભે સુરત ખાતે થયેલ ગંભીર ઘટનામાં મૃત્યુ પામેલ ભારતના ભાવી ભુલકાઓને ઉપસ્થિત તમામ સભ્યોએ બે મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પેલ હતી.

મીટીંગમાં ૧૦મી જૂનના કલેકટર કચેરી, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી ધરણા તથા કર્મચારીઓના ૧૨ પડતર પ્રશ્નો આવેદનપત્ર આપવા અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આશરે ૫૦૦ ભાઈઓ તથા આંગણવાડી-આશા કર્મચારી બહેનો ભાગ લેશે.

રાજ્ય સરકાર હસ્તકના વિવિધ ખાતાઓમાં કામ કરતા કર્મચારીઓના ૧૨ પડતર પ્રશ્નો છે જેમાં ખાસ કરીને આંગણવાડીના કાર્યકરોને કેન્દ્ર સરકારે ઓકટોબર-૧૮થી જાહેર કરેલ પગાર વધારો એરિયર્સ સાથે ચુકવી આપવો, રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડેલ છે તે રદ્દ કરી રૂ. ૧૫૦૦ તથા રૂ. ૪૫૦ ચુકવી આપવા ફેરફારની માંગણી કરેલ છે. આશા કર્મચારીઓને ફીકસ પગાર તથા ઈન્સેન્ટીવ જુની પદ્ધતિથી આપવા અને વધારાનું કામ લેવાનું તાત્કાલીક બંધ કરવા, ગુજરાત રાજ્યના તમામ બોર્ડ-નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનું ૧૯ માસના એરિયર્સનું તાત્કાલીક ચુકવણુ કરવા, ગુજરાત રાજ્ય લઘુતમ વેતન બોર્ડ તથા અન્ય બોર્ડોની પુનઃ રચના કરવા, સિમેન્ટ વેઈજ બોર્ડ, એસટી ફીકસ પગાર કર્મચારીઓ, બાંધકામ બોર્ડમાં ૨૦૧૬-૧૭ તથા ૨૦૧૭-૧૮ બે વર્ષની શૈક્ષણિક સહાય તાત્કાલીક ચુકવવા, ૧૯૮૮ પછીના રોજમદારોને ૬ઠ્ઠા તથા ૭મુ વેતન પંચ આપવું, ઈપીએફ પેન્શનરોને સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ પેન્શન આપવું, સોલ્ટ વર્કના કામદારોને લઘુતમ વેતન વિગેરે પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાશે.

મીટીંગમાં રાજકોટ જીલ્લા પ્રમુખ મહેશભાઈ વેકરીયા, જી. મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, યુ.આર. માંકડ, હરિભાઈ પરમાર, લોધીકા સંઘના શકિતસિંહ પરમાર, બીએસએનએલના ઠક્કરભાઈ તથા વ્યાસભાઈ, પાણી પુરવઠાના કામલીયા, અરૂણસિંહ ઝાલા, આંગણવાડી બહેનો શ્રીમતિ ભાવિકાબેન ચાઉ, સોનલબેન આહ્યા, સંગીતાબેન મકવાણા, સોનલબેન ગોહેલ, મુમતાઝબેન, રૂકશાનાબેન, આશા કર્મચારીઓ માલતીબેન દવે તથા વિજયાબેન પરમાર ઉપસ્થિત રહેલ હતા. વિદ્યુતમાંથી જીતેન્દ્રભાઈ વ્યાસ, મહાનગરપાલિકામાંથી હર્ષદભાઈ તેમજ ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘના હીરાભાઈ સાગઠીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

તા. ૧૦ જૂનના યોજાનાર ધરણાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જી. મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી (મો. ૯૪૨૬૨ ૫૪૦૫૩) તથા આંગણવાડી કર્મચારી સંઘના શ્રીમતિ ભાવિકાબેન ચાઉએ અનુરોધ કરેલ છે.

(3:35 pm IST)