Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જુના મનદુઃખને લીધે કાના ભરવાડે ધોકાવતાં રૈયાધારના મયુર અને હરદેવસિંહે ફિનાઇલ પીધું

ધો-૧૦નો છાત્ર મયુર ધામેલીયા (ઉ.૧૭) અને તેનો મિત્ર હરદેવસિંહ જાડેજા (ઉ.૧૮) સારવાર હેઠળ મયુર અગાઉ રિક્ષા શીખતો હતો ત્યારે કાનાની રિક્ષા સાથે અકસ્માત થતાં માથાકુટ થઇ'તી

રાજકોટ તા. ૨૯: રૈયાધારમાં રહેતાં બે મિત્ર વાળંદ સગીર અને દરબાર યુવાનને પાણીની રિક્ષાવાળા ભરવાડ શખ્સે મારકુટ કરતાં બંનેને માઠુ લાગી જતાં કરિયાણાની દૂકાનેથી ફિનાઇલ લઇ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો મયુર સુનિલભાઇ ધામેલીયા (વાળંદ) (ઉ.૧૭) અને તેના પડોશમાં રહેતો મિત્ર હરદેવસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૮) સાંજે ધરમનગર પાસે નિશાળવાળા ચોકમાં ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મયુરના કહેવા મુજબ તે બે ભાઇમાં નાનો છે અને ધોરણ-૧૦માં ભણે છે. જ્યારે મિત્ર હરદેવસિંહ બે ભાઇ તથા એક બહેનમાં વચેટ છે અને રિક્ષાચાલક છે. પોતે અગાઉ રિક્ષા હંકારતો શીખતો હતો ત્યારે કાના ભરવાડની રિક્ષા સાથે અથડાતાં પોતાને અને કાનાને માથાકુટ થઇ હતી. આ કારણે મનદુઃખ ચાલતું હતું. ગત સાંજે પોતે અને મિત્ર હરદેવસિંહ ઘર નજીક હતાં ત્યારે કાનો અને અજાણ્યા શખ્સો આવ્યા હતાં અને જુના મનદુઃખને કારણે ઝઘડો કરી બંનેને મારકુટ કરી હતી. આ કારણે બંને મિત્રોને માઠુ લાગી જતાં ફિનાઇલ પી લીધી હતી.

પોલીસે બંનેના નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)