Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગૌરવ

૨૫મીએ નાણાપંચ રાજકોટમાં : કોર્પોરેશનના પ્રોજેકટો નિહાળશે સ્માર્ટ સિટી

આઇવે પ્રોજેકટ - ગ્રીન બિલ્ડીંગ - ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, સોલાર ગ્રીડ, સૌની યોજનાની આજી ડેમ ભરવા સહિતની યોજનાઓની મુલાકાત લેશે : ૧૫માં નાણાપંચનું સ્વાગત કરશે મેયર - કમિશ્નર

રાજકોટ તા. ૧૭ : શહેરની મુલાકાતે આગામી તા. ૨૫મીએ ભારતના ૧૫માં નાણાપંચના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. જે મ્યુ. કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટોનું નિરીક્ષણ કરનાર છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખરેખર રાજકોટ શહેર માટે એ ગૌરવની વાત છે કે, ભારત સરકારશ્રીનું ૧૫ મું નાણાં પંચ આગામી તા. ૨૫ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહયું છે. નાણાં પંચ દ્વારા  અધ્યક્ષ એન. કે. સિંઘ, ઉપરાંત માન. સદસ્યશ્રીઓ શકિતકાંત દાસ, ડો. અનૂપસિંઘ, ડો. અશોક લહીરી અને ડો. રમેશ ચંદ, તેમજ નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મેહતા તા.૨૨ થી તા. ૨૫ દરમ્યાન ગુજરાત ના પ્રવાસે આવી રહયા છે. આ ગુજરાત વિઝિટ દરમ્યાન નાણાં પંચે રાજકોટની પણ મુલાકાત લઇ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેકટની રૂબરૂ માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે તે સમગ્ર રાજકોટ અને મહાનગરપાલિકા માટે ખુબ જ હર્ષ અને ગૌરવની બાબત છે. નાણાં પંચને આવકારવા રાજકોટ મહાનગરપાલિકા તત્પર છે.

કમિશ્નરશ્રીએ વિસ્તૃતમાં જણાવ્યું છે કે, અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, ભારતનું નાણાં પંચ દેશના બંધારણની જોગવાઈ અનુસાર તેને પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ તમામ રાજયો અને કેન્દ્ર વચ્ચે ટેકસની આવકની વહેંચણી, ઉપરાંત ગ્રાન્ટ – ઇન – એઇડ, તેમજ રાજયોની પંચાયતો અને મ્યુનિસિપાલિટીનના સંસાધનોની વૃદ્ઘિ માટે જે તે રાજયને વધારાની ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકારશ્રીને ભલામણો કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ફલેગશિપ સ્કીમ્સ, ડિઝાસ્ટરનો પ્રતિકાર, ઈન્ફ્રાસ્ટ્રકચર, સસ્ટેનેબલ ગ્રોથ માટેના લક્ષ્યાંકો, અને ખર્ચની ગુણવત્તાનું મૂલ્યાંકનના આધાર પર રાજયને પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ માટે પણ ભલામણ કરે છે.

આ તકે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નાણાં પંચની ટીમ રાજકોટ મુલાકાત વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, તા.૨૫ના સવારે ૧૦.૩૦ વાગ્યે નાણાં પંચની ટીમ આજી-૧ જળાશયની મુલાકાત લેશે. ગુજરાત સરકારશ્રી દ્વારા 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીર આજી-૧ ડેમમાં પહોંચાડી રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરાવી આપવામાં આવેલ છે. નાણાં પંચની ટીમ આજી-૧ ની મુલાકાત દરમ્યાન આ પ્રોજેકટની માહિતી પ્રાપ્ત કરશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે નાણાં પંચની ટીમ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેકટ 'રાજકોટ આઈ-વે પ્રોજેકટ' (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેકટ)ના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ સાથેની અન્ય આવાસ યોજનાની મુલાકાત લઇ તેના વિશે જાણકારી પ્રાપ્ત કરશે. સાથોસાથ રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, બી.આર.ટી.એસ. કોરીડોર સહિતના પ્રોજેકટની પ્રગતિ નિહાળી તેના વિશે માહિતી મેળવશે.

દરમ્યાન નાણાં પંચની રાજકોટ મુલાકાત દરમ્યાન બપોરે નાણાં પંચની ટીમના આતિથ્ય સત્કારરૂપે શહેરના મેયર બિનાબેન આચાર્ય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લંચનું આયોજન કરવામાં આવનાર છે.

અહી એ પણ નોંધનિય છે કે દેશમાં અત્યારે કેન્દ્ર સરકારશ્રીની વિવિધ ફલેગશિપ યોજનાઓનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલીકરણ કરવામાં આવી રહયું છે ત્યારે નાણાં પંચ દ્વારા સમીક્ષા માટે રાજકોટના આ તમામ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી છે એ હકિકત રાજકોટ મહાનગરપાલિકાના સમગ્ર નેતૃત્વ અને તમામ શહેરીજનો માટે પણ અત્યંત ગૌરવપૂર્ણ બનશે.

(4:35 pm IST)