Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

૧૯૯૫ના વર્ષમાં સંપાદન થયેલ જમીન પ્રકરણમાં

સામે વળતર પેટે રૂ. ૩ કરોડથી વધુ રકમની મિલ્કત જપ્તીનું અદાલત દ્વારા વોરન્ટ

રાજકોટ, તા. ૨૪ :. જમીન વળતર કેસમાં સરકાર સામે વળતર પેટે રૂ. ૩ કરોડથી વધુ રકમની મિલ્કત જપ્તીનું વોરન્ટ નામદાર અદાલતે કાઢયુ છે.

કેસની વિગત એવી છે કે આ કામના અરજદારો વિજયાબેન ગોરધનભાઈ પરસાણા વિગેરેઓની રાજકોટ ગામની ખેતીની જમીન કન્સ્ટ્રકશન ઓફ બાયપાસ એરાઉન્ડ ધ સીટી જોઈનીંગ રાજકોટ, જામનગર, રાજકોટ, મોરબી અને રાજકોટ-ગોંડલ રોડના કામ માટે સને ૧૯૯૫ની સાલમાં સંપાદન થયેલ. જે તે વખતે સરકારશ્રી દ્વારા એક ચો.મી.ના રૂ. ૨૦ વળતર પેટે અરજદારને ચુકવવા એવોર્ડ કરવામાં આવેલ. જે તે વખતે એવોર્ડ મુજબ રકમ રૂ. ૧,૩૭,૭૦૦ નો એવોર્ડ કરવામાં આવેલ. ઉપરોકત એવોર્ડથી નારાજ થઈ અરજદારે તેમના એડવોકેટ મારફત કલમ ૧૮ મુજબ નામદાર અદાલતમાં વધારાની રકમ મેળવવા લેન્ડ રેફરેન્સ કેસ નં. ૪૧૬/૧૯૯૮થી દાખલ કરેલ. ઉપરોકત કેસમાં તા. ૨૯-૯-૨૦૧૭ના રોજ નામદાર અદાલતે પોતાનો આખરી હુકમ કરી વધારાની રકમ રૂ. ૫૮૦ એક ચો.મી.ના આપવાનું ઠરાવેલ તેમજ પ્રથમ વર્ષના ૯ ટકા વ્યાજ તથા ત્યાર પછીના દરેક વર્ષના ૧૫ ટકા વ્યાજ તેમજ કલમ-૪ની તારીખથી એવોર્ડની તારીખ સુધીના પ્રતિવર્ષ ૧૨ ટકા લેખે ભાવ વધારો મંજુર કરેલ તેમજ ૩૦ ટકા સોલેશીયમ આપવાનું નામદાર અદાલતના આખરી હુકમમાં મંજુર કરવામાં આવેલ છે.

ત્યારબાદ ઉપરોકત લેન્ડ રેફરેન્સ કોર્ટમાં સરકારશ્રી દ્વારા નિયત સમયમાં અરજદારોને નામદાર અદાલતના હુકમ મુજબ વળતર ન ચૂકવતા અરજદારોએ તેમના એડવોકેટ દ્વારા દિવાની દરખાસ્ત દાખલ કરેલ, જેમાં સરકારશ્રીને તથા જરૂરી પક્ષકારોને નોટીસ બજ્યા બાદ પણ અરજદારોની નામદાર અદાલતના હુકમ મુજબની બહુ જ મોટી રકમ સરકાશ્રી દ્વારા જમા ન કરાવતા અરજદારોએ નામદાર અદાલતના હુકમ મુજબની રકમ જેટલુ જપ્તી વોરંટ કાઢી આપવાની માંગણી કરતા નામદાર અદાલતે તા. ૧૯-૪-ર૦૧૮ના રોજ સરકારશ્રી તથા જરૂર પક્ષકારોની સ્થાવર તેમજ જંગમ મિલકતોનું રૂ. ૩,૦૯,૧૩,૩૭૧/નું વોરન્ટ કાઢી આપવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદારો વિજયાબેન ગોરધનભાઇ પરસાણા વિગેરે વતી ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રીઓ વી.પી. પટેલ, ડી.પી. પરસાણા તથા બી.પી. નાગ્રેચા રોકાયેલા હતાં.(૨-૧૬)

(4:30 pm IST)