Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સફેદ તલના વાયદા માટે એનસીડેક્સ દ્વારા રાજકોટની ડિલીવરી સેન્ટર તરીકે પસંદગી

ઉંઝાને મુખ્ય ડિલીવરી સેન્ટર રાખવામાં આવ્યું

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) ખાતે હાલમાં જ શરૂ થયેલા ઘઉંનાં ઓપ્શન્સ ઇન ગુડ્ઝના સોદા માટે તથા આગામી દિવસોમાં શરૂ થનારા સફેદ તલનાં વાયદા માટે રાજકોટની ડિલીવરી સેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સફેદ તલનાં વાયદા માટ ઉંઝાને મુખ્ય ડિલીવરી સેન્ટર રાખવામાં આવ્યું છે.

રાજકોટ તથા અમદાવાદનાં પત્રકારો સાથેની વાતચીતમાં એનસીડીએકસના એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ-પ્રોડક્ટસ તથા બિઝનેસ ડેવલપમેન્ટ, કપિલ દેવે કહ્યું, કે કોમોડિટીનાં કારોબારમાં પરંપરાગત રીતે ગજરાતનો દબદબો રહ્યો છે, દાયકાઓ પહેલા સુરેન્દ્રનગર કપાસનાં વાયદાનાં ભાવ ઉપર આખા વિશ્વની નજર રહેતી હતી. આજે પણ એક્સચેન્જના કારોબારમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવે છે જેનો એનસીડેક્સને ગર્વ છે. ભારતનાં કૄષિ અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન અતિમહત્વપૂર્ણ હોય છે. તેથી જ એનસીડેક્સ ખાતે રાજસ્થાન બાદ બીજા નંબરના સૌથી વધારે ડિલવિરી સેન્ટરો ગુજરાતમાં આવેલા છે.રોકાણની બાબત હોય કે હાજર બજારના વેપાર તથા ડિલીવરીની બાબત હોય, કોમોડિટીનાં વેપારમાં ગુજરાતના કારોબારીઓએ હંમેશા સક્રિય રહીને વેપારમાં યોગદાન આપ્યું છે. એનસીડેક્સ પર ચાલતા ચણા, એરંડા, ધાણા, જીરૂ, કપાસિયા ખોળ તથા કપાસ જેવી કોમોડિટીનાં વાયદામાં ગુજરાતનો નોધંપાત્ર કારોબાર રહ્યો હોવાનું કપિલ દેવે ઉમેર્યુ હતું.

હવે એનસીડેક્સ ખાતે ઘઉંના ઓપ્શન ઇન ગુડ્ઝ સોદા શરૂ થયા છે જેમાં પણ રાજકોટને વધારાના ડિલીવરી સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારે અમને વિશ્વાસ છે કે એનસીડેકસ ગુજરાતમાં પોતાનો કારોબાર વધારી શકશે. એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર જીરાનાં વાયદામા ખેડૂતો અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ) એ સક્રિય રહીને કામકાજ કર્યા છે. હવે ઘઉંના ઓપ્શનના સોદામાં રાજકોટ ડિલીવરી સેન્ટર છૈ અને આગામી દિવસોમાં

સફેદ તલના શરૂ થનારા વાયદામાં ઉંઝા મુખ્ય તથા રાજકોટ વધારાનું ડિલીવરી સેન્ટર હોવાથી ખેડૂતોને તેમની કૄષિપેદાશના ભાવનું જોખમ પ્રબંધન કરવા સરળતા રહેશે.

(11:57 am IST)