Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રામેશ્વરમ્ દર્શને ગયેલા રાજકોટના અતુલાબેન કારીયાનું હૈદરાબાદ પાસે કાર અકસ્માતમાં મોત

સાથે અમદાવાદના બીજા ત્રણ લોકો હતાં તેમને ઇજાઃ મૃત્યુ પામનાર અતુલાબેનના પુત્ર બેંકમાં ફરજ બજાવે છેઃ લોહાણા પરિવારમાં શોકઃ ૩૦મીએ અકસ્માત નડ્યો'તોઃ ગત સાંજે રાજકોટ જંકશન સ્ટેશને લાવ્યા ને દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: દિવાળીના તહેવાર વખતે રામેશ્વરમ્ દર્શનાર્થે ગયેલા રાજકોટના લોહાણા મહિલા અને તેમની સાથેના અમદાવાદના ત્રણ લોકોની કારને હૈદરાબાદ નજીક કાર અકસ્માત નડતાં ગંભીર ઇજા થઇ હતી. હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર અપાવી ગઇકાલે ટ્રેન મારફત તેમને રાજકોટ લાવવામાં આવ્યા તે સાથે જ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર આસોપાલવ બંગ્લોઝમાં રહેતાં અતુલાબેન કિશોરભાઇ કારીયા (ઉ.વ.૫૫) અમદાવાદ રહેતાં સગાની સાથે દસેક દિવસ પહેલા અમદાવાદથી કાર મારફત રામેશ્વરમ્ દર્શનાર્થે ગયા હતાં. એ વખતે હૈદરાબાદથી આશરે ૧૨૦ કિ.મી. દૂર હતાં ત્યારે કારને અકસ્માત નડતાં અતુલાબેન અને સાથેના બીજા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે ચારેયને હૈદરાબાદ લઇ જવાયા હતાં. ત્યાંથી ગઇકાલે ટ્રેન મારફત અતુલાબેનને રાજકોટ લાવવામાં આવ્યા હતાં. અહિ જંકશન રેલ્વે સ્ટેશને પહોંચતા જ પ્લેટફોર્મ નંબર એક ઉપર અતુલાબેન બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

અતુલાબેનના પતિ નિવૃત જીવન ગાળે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પુત્ર વૈભવભાઇ બેંકમાં ફરજ બજાવે છે.   સવારે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો જોડાયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ રેલ્વે પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:33 am IST)