Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નાકરાવાડીની મનીષાએ પતિ-સાસુના ત્રાસથી જીવ દીધાનું ખુલ્યું: ગુનો નોંધાયો

આપઘાત કરનાર કોળી નવોઢાને પતિ અનીલ અને સાસુ સવિતાબેન માવતરે જવા દેતા નહી અને ઘરની બહાર નીકળવા ન દેતા હોવાનું ખુલ્યું

રાજકોટ, તા., ૧૬: કુવાડવા રોડ પર નાકરાવાડીમાં કોળી નવોઢાને પતિ અને સાસુ માવતરે જવા દેતા નહી અને ઘરની બહાર નીકળવા ન દઇ ત્રાસ આપતા હોવાનું ખુલ્યું છે. નવોઢાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ અને સાસુ સામે ગુનો નોંધાયો છે.

મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના શાપર-વેરાવળના રામદેવનગર મફતીયા પરામાં રહેતા મગનભાઇ પોલાભાઇ સીતાપરા (ઉ.વ.૪૯)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાની દીકરી મનીષાના સાત માસ પહેલા નાકરાવાડી ગામનાં વિનુભાઇ જીવરાજભાઇ જોગડીયાના દીકરા અનીલ સાથે લગ્ન થયા હતા. મારી દીકરી મનીષાના લગ્ન થયા બાદ તેનો પતિ અનીલ અને સાસુ સવીતાબેન અવાર નવાર હેરાન કરતા હતા. બંન્ને નાની-નાની બાબતોમાં અને કામ બાબતે હેરાન પરેશાન કરતા હતા અને મારી બીજી દીકરી જેે નાકરાવાડીમાં રહે છે તેના ઘરે પણ પતિ અનીલ અને સાસુ સવિતાબેન જવા દેતા ન હતા અને નાની નાની બાબતોમાં પણ ઘરની બહાર પણ નીકળવા ન દેતા જેથી મારી દીકરી ગઇ સાતમ-આઠમના તહેવારમાં રીસામણે અમારા ઘરે આવતી રહી હતી અને આ બધી બાબતની વાત કરી હતી.

તેમ છતા અમે મનીષાને સમજાવી હતી બાદ તેના સસરા અને સાસુ સહીતના કુટુંબીજનો આવી મનીષાને તેડી ગયા હતા આ પછી નવરાત્રીના પહેલા નોરતાના રોજ સાંજે મનીષાનો મારા મોબાઇલ પર ફોન આવેલ કે પતિ અને સાસુ હેરાન કરે છે અને નવરાત્રીમાં પણ જવા નથી દેતા મારે ઘરે આવતુ રહેવું છે તેમ જણાવ્યું હતું. ત્રણ દિવસ બાદ મારા દીકરા કિશન અને દિકરી ક્રિષ્ના તેડવા ગયા ત્યારે મનીષાની સાસુએ મનીષાને મોકલેલ નહી આ ત્રાસથી કંટાળી મનીષાએ તા.૧પ-૧૦ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ અંગે મહિલા પોલીસે મૃતક મનીષાના પિતા મગનભાઇ સીતાપરાની ફરીયાદ પરથી મનીષાનો પતિ અનીલ વિનુભાઇ જોગડીયા અને સાસુ સવીતાબેન વિનુભાઇ જોગડીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એન.એસ.સવનીયાએ તપાસ આદરી છે.

(3:30 pm IST)