Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રૈયાધારમાંથી ગાંજાના જથ્થા સાથે પ્રવીણ વાળાને ઝડપી લેતી એસઓજી

પોલીસ તરીકેની ઓળખ આપી રાહદારીઓને ચેકીંગના બહાને લૂંટી લેવાના ગુન્હામાં અગાઉ ઝડપાયેલો ભરત સુરતથી ગાંજો લાવ્યો'તોઃ બંધાણી હોવાની સાથે ધંધો પણ કરી લેતો

રાજકોટ, તા. ૨૨ :. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ઓપરેશન બ્લેકહોક તળે નશીલા પદાર્થો શોધી કાઢવાનુ ખાસ અભિયાન જાહેર કરાયુ છે. આ અંતર્ગત જંગલેશ્વરમાંથી વિપુલ માત્રામાં મદીના નામની મહિલાને ઝડપી લેવાયા બાદ બીજા દરોડામાં પણ જંગલેશ્વરમાંથી જ નશીલા દ્રવ્યો ઝડપી લેવામાં આવ્યા હતા. દરમિયાન ગઈ મોડી રાત્રીના રૈયાધાર સ્લમ કવાર્ટર વિસ્તારમાંથી પૂર્વ બાતમીના આધારે ૨ કિલો ૭૦૦ ગ્રામ ગાંજા સાથે પ્રવીણ નાનજીભાઈ વાળા (ઉ.વ.૫૧)ને ઝડપી લેવાયો હતો.

પોલીસ હેડ કોન્સ. આર.કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહ ચુડાસમાને એવી બાતમી મળી હતી કે, યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના રૈયાધારમાં એક શખ્સ ગાંજાના ધંધા સાથે સંકળાયેલો છે અને આજે તે ગાંજો લઈ આવી રહ્યો છે. આ બાતમી અંતર્ગત એસઓજીના પી.આઈ. એસ.એન.ગડુ, સબ ઈન્સ. ઓ.પી. સિસોદીયા, સબ ઈન્સ. એચ.એમ. રાણા, મહિલા સબ ઈન્સ. એન.બી. ડાંગર તથા સ્ટાફના આર.કે. જાડેજા, વિજયભાઈ શુકલ, ધર્મેન્દ્રસિંહ રાણા, મોહીતસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રીજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ ગઢવી, વિજેન્દ્રસિંહ ઝાલા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રાવતભાઈ ડાંગર વોચમાં ગોઠવાયા હતા. આ દરમિયાન મળેલી બાતમી અને વર્ણન મુજબનો શખ્સ થેલી સાથે જોવા મળતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનુ નામ પ્રવીણ નાનજીભાઈ વાળા (ઉ.વ.૫૧, રહે. રૈયાધાર મફતીયાપરા સ્લમ કવાર્ટર, ડો. જાકીરહુસેન સ્કૂલ પાસે) હોવાનંુ જણાવ્યુ હતું. તેની પાસેની થેલીની ઝડતી લેવામા આવતા સુકાઈ ગયેલા પાંદડા અને ડાખળા સાથેનો ગાંજો ૨ કિલો ૭૦૦ ગ્રામ જેવો મળી આવ્યો હતો. પ્રવીણ વાળાના ખિસ્સામાંથી ૩૫૧૦ રોકડા અને મોબાઈલ મળી આવ્યો હતો. ઝડપાયેલા ગાંજાની કિંમત ૧૬૨૦૦ આંકવામાં આવી છે. પ્રવીણ વાળા સામે એનડીપીએસ એકટની કલમ ૮(સી), ૨૧ તથા ૨૯ મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. એસઓજીની પ્રાથમિક તપાસમાં પ્રવીણ નાનજીભાઈ વાળા (બારોટ) અગાઉ પોલીસ તરીકે ઓળખ આપી રાહદારીઓ પાસેથી બળજબરીથી નાણા પડાવવાના ૩થી વધુ ગુન્હામાં પકડાઈ ચૂકયો છે. તે ગાંજાનો બંધાણી છે. હમણા સુધી જંગલેશ્વરમાથી ગાંજો લાવતો છેલ્લે મદીના પકડાઈ જતા આ ગાંજો તે સુરતથી લાવ્યો હોવાનું જણાવે છે. વધુ પૂછપરછ ચાલી રહી છે.(૨-૧૫)

(3:57 pm IST)