Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બાપુની ૯૭ વર્ષ જુની શાળા ફંડિંગના અભાવે બંધ

બાપુની ૧૫૦મી જન્મજયંતિની જોરશોરથી ઉજવણીની તૈયારી થઇ રહી છે ત્યારે રાજકોટમાં બાપુની એક યાદી ઉપર મુકાયું પૂર્ણવિરામઃ ૧૯૨૧માં થઇ હતી શાળાની સ્થાપના : ધો. ૧ થી ૭ના ૩૭ વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં પ્રવેશ લીધો

રાજકોટ તા. ૨૮ : દેશભરમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એવામાં રાજકોટમાંથી બાપુની એક યાદી પર પૂર્ણવિરામ મૂકાવા જઇ રહ્યું છે. રાજકોટમાં ૯૭ વર્ષ જૂની શાળા જેની સ્થાપના ગાંધી બાપુએ કરી હતી એ ફડિંગના અભાને છેલ્લે બે મહિનાથી બંધ થઇ ગઇ છે. અમદાવાદમાં વિદ્યાપીઠની સાથોસાથ પ્રાથમિક શિક્ષણ માટે રાજકોટમાં બાપુએ રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૨૧માં જયારે આ શાળાની સ્થાપના થઇ હતી. બે મહિનાથી બંધ શાળાના ધો. ૧થી ૭ના કુલ ૩૭ વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં એડમિશન લઇ લીધું છે.

રાજકોટની આલ્ફ્રેડ હાઇ સ્કૂલથી માત્ર ૨ કિમીના અંતરે આ સ્કૂલ આવેલી છે. જેને હાલમાં એક સંગ્રહાલય તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ આ સંગ્રહાલયને પ્રજા માટે ખુલ્લુ મૂકશે. વલ્ડ કલાસ સંગ્રહાલય એટલે કે, હાલની રાષ્ટ્રીય શાળા તા. ૧ ફેબ્રુઆરી ૧૯૨૧ના રોજ શરૂ થઇ હતી. શાળાના નિયમો ગાંધીજીએ તૈયાર કર્યા હતા. જેનો હેતું વિદ્યાર્થીઓમાં નાનપણથી જ રાષ્ટ્ર નિર્માણના આદર્શોના બીજ રોપાય એ હતું. રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના ખંડમાં અનેક વખત બાપુએ પ્રાર્થના કરેલી છે.

વર્ષ ૧૯૩૯ દરમિયાન સ્વતંત્રતા માટેના સંઘર્ષની પણ શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય શાળાને શહેરની શ્રેષ્ઠ શાળા માનવામાં આવતી હતી. હાલના ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અનામિક શાહે પણ આ રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યો છે. જયારે બાપુ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે બાપુએ અનુભવેલું કે બ્રિટિશ શિક્ષણએ ગુલામીનું મૂળ છે. દેશમાં એક સ્વદેશી શિક્ષણ શરૂ કરવું જોઇએ. સ્વતંત્રતા માટે દેશની શિક્ષણ પદ્ઘતિ બદલાશે તો નાનપણથી બાળકોમાં રાષ્ટ્રભાવનાઓના મૂળીયા મજબૂત થશે.

સ્વતંત્રતાની ચળવળ માટે બાપુએ સમગ્ર શિક્ષણ પદ્ઘતિમાં ફેરફાર કર્યા અને રાજકોટમાં શાળાની સ્થાપના કરી. જે બાપુના વિચારોનું પરિણામ છે. બાપુનું માનવું હતું કે યુવાનોને શિક્ષણ તેમને તેમની માતૃભાષામાં મળવું જોઇએ. જે દેશની અને વ્યકિતની જરૂરરિયાતને સંતોષે. વર્ષ ૧૯૯૭ અને ૨૦૦૦માં આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરતા હતા. ગાંઘી પ્રેમીઓ દ્વારા જયારે શાળા એક ટ્રસ્ટ તરીકે શરૂ થઇ ત્યારે ખરી પડતીની શરૂઆત થઇ. સમયાંતરે દાન ઓછું થતું ગયું અને શાળા બંઘ થવાના આરે આવી ગઇ. અંતે ભાડે આપેલી કેટલીક જમીનના પૈસામાંથી સમગ્ર શાળાનું સંચાન થતું.

ધીમે ધીમે વિદ્યાર્થીઓ ઘટતા ગયા અને બે મહિના પહેલા શાળામાંથી અંતિમ ૩૭ વિદ્યાર્થીઓએ બીજી સ્કૂલમાં એડમિશન લઇ લીધા. રાષ્ટ્રીય શાળાએ કોર્પોરેટ એકમ માટે બુકલેટ છાપવાનું શરૂ કર્યું. જે રકમમાંથી આ ઐતિહાસિક સંસ્થાને સાચવવાનું કામ થતું. સરકારના નિયમ અનુસાર અમે કોઇ પ્રાથમિક શાળાઓ માટે અને સંગીત સ્કૂલ માટે કોઇ પ્રકારની આર્થિક મદદ કે ગ્રાન્ટ લેતા નથી. ગાંધી વિચારોને જીવંત રાખવા માટે દર વર્ષે રૂ.૨૫ થી ૩૦ લાખની જરૂર પડે છે. જેમાંથી જુદી જુદી શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

મેનેજિંગ ટ્રસ્ટી અને શાળાના જનરલ સેક્રેટરી જીતુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, અમને વાર્ષિક ૮.૩ લાખની જરૂર પડે છે. પરંતુ, હાલમાં આટલું મોટું કોઇ ફંડ નથી. શાળા બંધ કરવા સિવાય અન્ય કોઇ રસ્તો ન હતો. ૯૯ વર્ષના ભાડા પર રાજકોટના રાજવી લાખાજીરાજે ૧૩ એકર જમીન શાળા સ્થાપવા માટે આપેલી હતી. રાષ્ટ્રીય શાળાના ટ્ર્સ્ટીઓએ પણ શાળા ચાલુ રાખવા માટે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત સીએમ રૂપાણી સાથે બેઠક માટે પણ પ્રસ્તાવ મૂકયો હતો પણ વડાપ્રધાનની મુલાકાતને કારણે આયોજન રદ થયુ.(૨૧.૫)

રાષ્ટ્રની પ્રથમ મ્યુઝીક સ્કૂલની સ્થિતિ પણ દયનીય

રાષ્ટ્રીય શાળા માત્ર શહેરની જ નહીં પણ સૌરાષ્ટ્રની પ્રથમ કલાસિકલ મ્યુઝિક સ્કૂલ હતી. આ શાળામાં સૌ પ્રથમ વખત શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન આપવામાં આવતું. ગાયન અને વાદનની પ્રેકિટસ પણ થતી. વર્ષ ૧૯૩૮માં શાસ્ત્રીય સંગીતના શિક્ષણની શરૂઆત થઇ. જોકે, હાલમાં આ શાળાની હાલત પણ દયનીય છે. હાલમાં માત્ર ૧૨૫ વિદ્યાર્થીઓ છે જે સંગીત શીખે છે. પરંતુ, હાલમાં કોઇ એવા ખાસ સંગીતના સાધનો નથી. સંસ્થાના હાર્મોનિયમ અને તબલાની સ્થિતિ સારી નથી. આ સાધનો ફરી વસાવવા માટે ૨ લાખની સહાયની જરૂર છે. જે માટે કેટલાક લોકો સાથે દાનન અંગે વાત કરવામાં આવી છે.

(12:14 pm IST)