Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સગર્ભા સરિતાને પતાવી દીધાનો આકાશને કોઇ અફસોસ નથીઃ પોતે પરણેલો હતો એ છુપાવીને સરિતાને ફસાવી હતી

પંકજ ચાવડાએ કહ્યું-અમે જમી રહ્યા હતાં ત્યારે અશોક આવ્યો હતો, તે મારી પત્નિનો પૂર્વ બોયફ્રેન્ડ હોઇ હું ઓળખતો હતોઃ તેણે 'તારી ઘરવાળી સાથે મારે પ્રેમ હતો, તેના ત્રણ લાખ માંગુ છું' કહી ઝઘડો કર્યો, નેફામાંથી બંદૂક કાઢી અને ફાયરીંગ કરી ભાગી ગયો'તો : પડોશી મારફત મુળ રાણીગંજની પણ હાલ બહેન સાથે ગોરખપુર રહેતી સરિતા સાથે પંકજનો સંપર્ક થયા બાદ લગ્ન કર્યા હતાં : આકાશ સતત મેસેજ કરી પંકજને હેરાન કરતો હતો...તારી પત્નિના હાથ પર ટેટૂ છે એ મેં કરાવી દીધા છે, એની પાછળ ખૂબ પૈસા વાપર્યા છે એ મારે વસુલવાના છે...એવી ધમકીઓ આપતો હતો : સરિતાના હાલના પતિ પંકજે કહ્યું-લગ્નના ત્રણ મહિના બાદ ફેસબૂકમાંથી નંબર શોધી આકાશે મને ફોન કરી-'તેરી બીવી સે મેરી શાદી હો ચુકી હૈ' કહેતાં પંકજ ચોંકી ગયો'તોઃ પત્નિને પુછતાં તેણીએ અશોકે છેતરીને લગ્ન કરી લીધાનું અને તે પરણેલો હોવાની જાણ થતાં તેને છોડી દીધાનું કહ્યું હતું : હત્યારો આકાશ મોર્યા-જેની ઓળખ પરેડ કરાવવામાં આવશે : વિગતો જણાવતાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા તથા પાછળ પીએસઆઇ : એ. બી.જાડેજા સહિતની ટીમ

રાજકોટ તા. ૨૮: 'મેં એની પાછળ ખુબ રૂપિયા વાપર્યા હતાં એ મારે વસુલ કરવા હતાં, એ મને છોડીને જતી રહી હતી એ પણ ગમ્યું નહોતું, એટલે ગોળી મારી દીધી હતી'...આવું રટણ યુપી ગોરખપુરના દેવલીયા રોડ, રાનીડીહા, વસંતવિહાર કોલોનીના આકાશ રામાનુજ મોર્યા (ઉ.વ.૨૭)એ રવિપાર્કમાં સગર્ભા સરિતા પંકજ ચાવડાને ગોળી ધરબી પતાવી દીધા બાદ કર્યુ હતું. પૂર્વ પત્નિ-પ્રેમિકાને પતાવી દઇ રિક્ષામાં ભાગી રહેલા આકાશને હત્યાનો કોઇ અફસોસ નથી. તે સરિતાને પોતાની પૂર્વ પત્નિ જ ગણાવે છે અને તેણીને મારી નાંખવાના ઇરાદા સાથે જ પંદર દિવસ પહેલા ગોરખપુરથી તમંચો ખરીદીને પ્લાન ઘડતો હોવાનું અને અંતે ગઇકાલે પ્લાન સફળતાથી પાર પાડ્યો હોવાનું રટણ કરતો હતો. એવી પણ વિગતો બહાર આવી છે કે આકાશ પોતે પરણેલો છે એ વાત પણ તેણે પોતાના પિતાની સાડીની દૂકાનનીચે બ્યુટી પાર્લરમાં કામ કરતી સરિતાથી છૂપાવી હતી અને પ્રેમજાળમાં ફસાવી હતી. એ પછી સરિતાને તેની જાણ થઇ જતાં તેને છોડી દીધો હતો. આ વાત આકાશને ખુંચતી હતી.

હત્યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલી સગર્ભા સરિતાના હાલના પતિ પંકજ હરેશભાઇ ચાવડા (કુંભાર) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી આકાશ મોર્યા સામે આઇપીસી ૩૦૨, ૪૫૨, ૧૩૫ (૧) તથા આર્મ્સ એકટની કલમ ૫ (૧) બી-એ-૨૭ મુજબ ગુનો નોંધ્યો છે. પંકજ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવું છું. મારા લગ્ન મુળ રાણીગંજ-પશ્ચિમ બંગાળ ખાતે રહેતાં દિલીપભાઇ કહારની દિકરી સરિતા સાથે તા. ૩૦/૧૧/૨૦૨૦ના રોજ થયા હતાં. ત્યારથી હું, મારી પત્નિ અને માતા નિર્મળાબેન રાજકોટ રવિપાર્કમાં રહેતાં હતાં.

મંગળવારે ૨૭/૭ના બપોરે એકાદ વાગ્યે હું અને મારી પત્નિ સરિતા જમવા બેઠા હતાં ત્યારે આકાશમોર્યા જે યુપીના ગોરખપુરમાં રહે છે તે અગાઉ એક વખત અહિ મારા ઘરે આવી ગયો હોઇ જેથી હું તેને ઓળતો હોઇ તે ઘરમાં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારે તારી પત્નિ સાથે પ્રેમસંબંધ હતો, હું તેની પાસે ૩ લાખ રૂપિયા માંગુ છું. તે કહી તે મારા તથા મારી પત્નિ સાથે ઝઘડો કરવા માંડ્યો હતો.

એ દરમિયાન આકાશે પેન્ટના નેફાના પડખામાંથી બંદૂક કાઢી હતી અને મારી પત્નિની છાતી તરફ તાંકી ફાયરીંગ કરી દીધું હતું અને ભાગી ગયો હતો. હું પાછળ દોડતાં લપસી પડ્યો હતો. મેં બૂમાબૂમ કરી હતી અને રાડો પાડી હતી. પાછો ઘરમાં જતાં મારી પત્નિ નીચે પડેલી હોઇ છાતીમાંથી લોહી નીકળતું હોઇ મેં ફોન શોધી ૧૦૮ને જાણ કરી હતી. તેના ડોકટરે મારી પત્નિને મૃત જાહેર કરી હતી. તેના પેટમાં સાત મહિનાનો ગર્ભ હતો. મારી પત્નિને તેના પૂર્વ પ્રેમીએ પૈસા માટે ઝઘડો કરી હત્યા કરી છે.

પોલીસે ઉપરોકત ફરિયાદને આધારે આકાશ મોર્યાની ધરપકડ કરી તેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

દરમિયાન પંકજ ચાવડાએ વિશેષ વિગતો જણાવતાં કહ્યું હતું કે-મારા એક ઓળખીતા કિશનભાઇના પત્નિના બહેન ધનબાદ હોઇ તેના કારણે મારી ઓળખાણ યુપી બોર્ડર પર આવતા પશ્ચિમ બંગાળના રાણીગંજની સરિતા સાથે થઇ હતી. મારે લગ્ન કરવા હોઇ વ્હોટ્સએપથી ફોટા મંગાવ્યા બાદ અમે રૂબરૂ જોવા ગયા હતાં. મને સરિતા ગમી જતાં ત્યારે જ સગાઇ વિધી કરી લીધી હતી. લોકડાઉન આવી જતાં લગ્ન નવેમ્બર-૨૦૨૦માં કર્યા હતાં. સરિતા ગોરખપુરમાં તેની મોટી બહેન સાથે જ રહેતી હતી.

લગ્નના ત્રણેક મહિના પછી મારા મોબાઇલમાં અચાનક એક હિન્દીભાષીનો ફોન આવ્યો હતો. તેણે પોતે ગોરખપુરથી આકાશ બોલતો હોવાનું અને મારી પત્નિ સરીતા છે તેની સાથે પોતે અગાઉ લગ્ન કરી ચુકયો છે તેવી વાત કરતાં હું ચોંકી ગયો હતો. તેણે મારા ફોન નંબર ફેસબૂકથી શોધ્યા હોવાનું પણ તેણે કહ્યું હતું. આ વાત મેં પત્નિને પુછતાં તેણે પોતાને આકાશે ફસાવીને લગ્ન કરી લીધાનું કહ્યું હતું. પોતે આકાશના પિતાના શો રૂમની નીચેના ભાગે આવેલા બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હોઇ જેથી આકાશ સાથે ઓળખ થતાં તેની સાથે મિત્રતા હોવાનું અને એ પછી આકાશે લગ્નના કાગળો પર સહીઓ લઇ લીધાનું કહ્યું હતું. પરંતુ આકાશ પોતે અગાઉથી જ પરણેલો છે અને એક દિકરીનો પિતા છે તેની મને જાણ થતાં મેં તેને છોડી દીધો હતો. એ પછી એ સતત મારી પાછળ વાપરેલા પૈસાનો હિસાબ ગણાવી રૂ. ત્રણ લાખ મારી પાસે માંગે છે. આ વાત મને મારી પત્નિએ કરી હતી. ત્યારબાદ આકાશ રૂબરૂ આવેલ ત્યારે પણ મેં તેને સમજાવ્યો હતો.

પરંતુ એ પછીથી તે વારંવાર મને મેસેજ કરીને હેરાન કરતો હતો. મારી પત્નિના હાથ પર ટેટૂ છે એ પણ એણે કરાવી દીધા છે તે સહિતના હિસાબો-ખર્ચાઓ ગણાવી તે પૈસાની ઉઘરાણી કરતો હતો. દરમિયાન ગઇકાલે તે ઓચીંતો ઘરમાં ઘુસી ગયો હતો અને ભડાકો કરી ભાગી ગયો હતો.

ઝડપાયેલા આકાશે રટણ કર્યુ છે કે મેં સરિતા પાછળ લાખો રૂપિયા વાપર્યા હતાં. છેલ્લે એ મને છોડીને જતી રહી હતી. મેં તેની સાથે લગ્ન કરેલા હતાં, તેના કાગળો પણ મારી પાસે છે. મેં તેની પાછળ વાપરેલા પૈસા તે પાછા આપતી ન હોઇ અને બીજા સાથે પરણી ગઇ હોઇ મને આ વાત ખુંચતી હોવાથી હું તેને મારી નાખવાના ઇરાદા સાથે જ આવ્યો હતો. આકાશના આ રટણમાં કેટલી સત્યતા છે? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ સાંજે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, પી. બી. જેબલીયા, હેડકોન્સ. જીજ્ઞેશ મારૂ, અંશુમનભા ગઢવી, કોન્સ. દેવરાજ કળોતરા, ટ્રાફિક શાખાના કુલદિપસિંહ જાડેજા, નિતેશ બારૈયા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, બલભદ્રસિંહ ચુડાસમા, ગિરીરાજસિંહ જાડેજા, જયંતિગીરી ગોસ્વામી, રાવતભાઇ ડાંગર, બળભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, લક્ષમણભાઇ, બ્રિજરાજસિંહ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. 

  • આકાશનું રટણ-મેં સરિતા સાથે ૨૦૧૮માં લગ્ન કર્યા'તા અને અમે મુંબઇ રહ્યા હતાં

.આરોપી આકાશે એવું પણ રટણ કર્યુ છે કે સરિતા સાથે ૨૦૧૮માં સંપર્ક થતાં પ્રેમ થયો હતો. એ પછી અમે લગ્ન કરાર કર્યા હતાં અને મુંબઇ પણ થોડો સમય રહ્યા હતાં. પોતે કાપડનો સેલ્સમેન હોઇ મુંબઇ આવ-જા કરતો હોવાથી મુંબઇથી પરિચીત હતો. પ્રથમ પત્નિ અને દિકરી વતન ગોરખપુરમાં જ રહેતાં હતાં. તેને મારા સરિતા સાથેના સંબંધની ખબર નહોતી. પણ સરિતાના ખર્ચા પછી વધતાં જતાં હોઇ જેથી મેં તેને પરત જતાં રહેવા કહ્યુંં હતું. એ પછી હું પરણેલો હોવાની તેને ખબર પડતાં તે જતી રહી હતી. એ પછી ૨૦૧૯માં તેની રાજકોટના પંકજ સાથે સગાઇ થઇ ગયાની મને જાણ થતાં મેં તેની પાછળ ત્રણેક લાખ ખર્ચ્યા હોઇ જેથી મને ખોટુ લાગી ગયું હતું અને એ મને ખટકવા માંડી હતી.

(2:54 pm IST)