Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મારી મરજીથી પગલું ભર્યુ છે, કોઇના ત્રાસથી નહિ, ચિઠ્ઠી લખી દરજી યુવાનનો આપઘાત

ઘનશ્યામનગરમાં ૨૪ વર્ષના તેજસ સરવૈયાએ ફાંસો ખાઇ લીધોઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ, તા. ૨૮ :. કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા દરજી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. તેણે એક સ્યુસાઇડ નોટ લખી છે, પરંતુ તેમાં આપઘાતનું કારણ લખ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર ઘનશ્યામનગર શેરી નં. ૭ માં રહેતો તેજસ ધીરૂભાઈ સરવૈયા (ઉ.વ.૨૪) એ પોતાના ઘરે પંખા સાથે સફેદ કપડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ના ઈએમટી કિશનભાઈ તથા પાઈલોટ પ્રકાશભાઈ ગઢવીએ સ્થળ પર પહોંચી તેજસનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.

જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી. કોડીયાતર અને રાઇટર હિરેનભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ગઇકાલે મૃતક તેજસના માતા-પિતા અને ભાઇ ભાભી ઘરને તાળુ મારી બહાર ગયા હતાં. ત્યાર બાદ તેજસે બહારથી આવી બાજુમાંથી ઘરની ચાવી લઇ તાળુ ખોલી ઘરમાં જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. 

પોલીસે તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ મળી હતી. તેમા 'મેં મારી મરજીથી આ પગલુ ભર્યુ છે, કોઈના ત્રાસથી મરતો નથી, મારા માતા-પિતા અને ભાઈ ભાભીને હેરાન કરતા નહીં' તેમ લખ્યુ છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જે કરી તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ ? તે અંગે તપાસ હાથ ધરી છે.

(12:39 pm IST)