Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મોરબી રોડ રાધીકા પાર્કમાં ઇમીટેશનના ધંધાર્થી દુર્ગેશ નારણીયાનો ફાંસો ખાઇ આપઘાત

સાઢુભાઇ ઘરે ગયા ત્‍યારે યુવાન લટકતો જોવા મળ્‍યોઃ કારણ અકળ

 

રાજકોટ તા. ર૮: મોરબી રોડ રાધીકા પાર્કમાં રહેતા ઇમીટેશનનું કામ કરતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ રાધીકા પાર્ક શેરી નં.૩ માં રહેતા દુર્ગેશ અરવીંદભાઇ નારણીયા (ઉ.વ. ર૬) એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘર સામે રહેતા સાઢુભાઇ ઘેર આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હોઇ ખખડાવતા ન ખોલતા તેણે બારીમાંથી જોતા દુર્ગેશ લટકતી હાલતમાં જોવા મળ્‍યો હતો. બાદ તેણે બીજા સંબંધીને ફોન કરી ઘરની ચાવી મંગાવી દરવાજો ખોલ્‍યો હતો.

જાણ થતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કેતનભાઇ નિકોલા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દુર્ગેશ ઘરે ઇમીટેશનનું કામ કરે છે. પત્‍ની મોરબી પ્રસંગમાં ગયા બાદ તેણે પાછળથી આ પગલું ભરી લીધું હતું. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)