Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રાજકોટના રે.સ.નં.૪૭-૪૮ની કરોડોની જમીન અંગેનો વેચાણ દસ્તાવેજ રદ કરવા થયેલ દાવો સ્ટે કરતી હાઇકોર્ટ

રાજકોટ તા.૨૮: રાજકોટના રેવન્યુ સર્વે નં.૪૭ તથા ૪૮ પૈકી-૨ની કરોડો રૂપિયાની કિંમતી જમીન સંબંધે વેચાણ દસ્તાવેજ રદ કરવા થયેલ દાવો સ્ટે કરવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, બાબુભાઇ વાઘજીભાઇ તંતી વિગેરેએ રાજકોટની સીવીલ કોર્ટમાં એવો દાવો કરેલ કે તેમના પિતા સ્વ.વાઘજીભાઇ તંતી અને સ્વ.પ્રભુદાસ તંતીની સંયુકત માલિકીની ખેતીની ખેડવાણ જમીન રાજકોટના રેવન્યુ સર્વે નં.૪૭ તથા ૪૮ પૈકી-૨ની જમીન એકર ૪-૨૭ ગુંઠા આવેલ છે અને તે જમીનમાં આ વાદીઓનો ૫૦ ટકા હિસ્સો આવેલો છે. વાદીઓએ દાવા અરજીમાં એવો પણ આક્ષેપ કરેલ કે, તેઓએ તેના મોટાભાઇ મગનભાઇ વાઘજીભાઇ તંતીને તા.૨૪/૦૭/૨૦૦૩ના રોજ કુલ મુખત્યારનામુ આપેલ જે તેમના કાકા પ્રભુદાસ તંતીના જમાઇના ભાઇના કહેવાથી જમીનના સરળ વહીવટ અને વહેવાર કરવા માટે આપેલું. પરંતુ  વેચાણ કરવા માટે આપેલ નહી અને આ કુલમુખત્યારનામામાં શાંતાબેન વાઘજીભાઇની સહી કરવામાં આવેલ નહી. અને તેને બદલે મગનભાઇ વાઘજીભાઇ તંતીએ કુલમુખત્યારનામાના આધારે સહી કરેલી અને આવા કુલમુખત્યારનામાના આધારે પ્રભુદાસ તંતી વિગેરેએ હસુભાઇ સવજીભાઇ પટેલને તા.૦૩/૦૩/૨૦૦૪ના રોજ કુલમુખત્યાર નામું આપેલું. જે કુલમુખત્યાર નામાના આધારે વેચાણ દસ્તાવેજ અનુ.નં.૫૨૮ તા.૧૧/૦૧/૨૦૦૭ના રોજ ચીમનભાઇ મનજીભાઇ ડોબરીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ તે ગેરકાયદેસર છે. અને એવો આક્ષેપ કરવામાં આવેલ કે, મગનભાઇ વાઘજીભાઇ તંતીએ હસમુખભાઇ સવજીભાઇ પટેલ અને ચીમનભાઇ મનજીભાઇ પટેલ સાથે એક સંપ કરી આવો દસ્તાવેજ જમીન હડપ કરી જવા કરેલ છે.

આ દાવો રદ કરવા સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ના પ્રબંધ હેઠળ ચીમનભાઇ મનજીભાઇ ડોબરીયાએ એવું જણાવી અરજી કરેલ કે, આ વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૦૮ માં થયેલ છે જેને સાત વર્ષ બાદ ચેલેન્જ કરવામાં આવેલ છે. આ વેચાણ દસ્તાવેજની જાણ અને માહિતી દાવો કરી દસ્તાવેજ ચેલેન્જ કરનાર વાદીઓને હતી અને છે. અને તેથી આ દાવો ખોટો તેમજ સમય મર્યાદા બહારો છે તેથી આ દાવો સ્ટ્રેટવે ડિસમીસ થવા પાત્ર છે. તેમજ આ વાદીઓએ આપેલ કુલમુખત્યાર નામું વર્ષ ૨૦૦૪નુ છે. જેના આધારે વર્ષ ૨૦૦૭માં દસ્તાવેજ થયેલ છે. અને રેવન્યુ રેકર્ડે હકક પત્રકે ખરીદનારના નામે નોંધ પણ દાખલ થયેલ છે અને તે નોંધ તકરારી થઇ પ્રોસીડીગ્સમાં આ વાદીઓએ ભાગ લીધેલ છે તેથી વેચાણ વ્યવહાર વાદીની જાણમાં છે. આવી સી.પી.સી.ઓર્ડર-૭ રૂલ-૧૧ની પ્રતિવાદી ચીમનભાઇ ડોબરીયાની અરજી સીવીલ કોર્ટે રદ કરતા સીવીલ કોર્ટના સદરહુ હુકમને ગુજરાત હાઇકોર્ટમાં રીવીઝન દાખલ કરી પડકારવામાં આવેલ.

વડી અદાલતે એવું પણ ચુકાદામાં જણાવેલ છે કે જે વેચાણ દસ્તાવેજ સબંધે તકરાર ઉપસ્થિત કરવામાં આવેલ છે તે વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૦૭ના વર્ષનો છે અને આવો વેચાણ દસ્તાવેજ વાદીઓએ જ તેમના કુલમુખત્યાર મારફતે કરી આપેલ છે અને હવે આ વાદીઓ જ તેને આઠ વર્ષ બાદ ચેલેન્જ કરે છે ત્યારે આવા વેચાણ દસ્તાવેજ કરી આપ્યાની તારીખથી જ લિમીટેશન શરૂ થાય, અને આ હકિકત નીચેની અદાલતે ધ્યાને લીધેલ નથી અને નીચેની અદાલતે તે બાબત ધ્યાને લીધઆ સિવાય સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ની અરજી રદ કરવામાં ગંભીર ભુલ કરેલ છે તેવું પ્રાઇમાફેસી જણાય આવે છે. અને તેથી વડી અદાલતે રીવીઝનના આખરી નિર્ણય થતાં સુધી નીચેના અદાલતના સ્પે.દિવાની કેસ નં.૧૪૪/૧૫ના દાવાના પ્રોસિંડીગ્સ સ્ટે કરેલ છે.

આ કામમાં પ્રતિવાદી હસમુખભાઇ સવજીભાઇ પટેલ અને ચીમનભાઇ મનજીભાઇ ડોબરીયા વતી રાજકોટના વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી અર્જુન એસ.પટેલ, મુકેશ જી.ગોંડલીયા, સત્યજીત ભટ્ટી, જવલંત પરસાણા, જીગર નશીત તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીવીઝનના કામે એડવોકેટ તરીકે આશીષભાઇ ડગલી રોકાયેલા છે.

(3:40 pm IST)