Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

નમામી દેવી નર્મદેઃ કાલથી ન્યારી ડેમ છલોછલ કરવાનો પ્રારંભ

સોમવારે નરેન્દ્રભાઇ મોદી રાજકોટને વધુ પાણીદાર બનાવશે : ન્યારીમાં નર્મદા નીરને વધાવશે

રાજકોટ તા. ૨૮ : મ્યુ. કોર્પોરેશનના ન્યારી-૧ ડેમને નર્મદા નીરથી ભરી દેવાની યોજના અંતર્ગત આવતીકાલે સૌની યોજના મારફત ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો પ્રારંભ થનાર છે. ૨૫ ફુટની કુલ સપાટી ધરાવતા આ ડેમમાં દરરોજ ૭ એમ.સી.એફ.ટી. નર્મદા નીર ઠાલવીને ડેમને છલોછલ કરી દેવાશે. આ દરમિયાન આગામી તા. ૪ના રોજ જામનગર ખાતે પધારી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગરથી રિમોટ કંટ્રોલ દ્વારા રાજકોટના ન્યારી-૧ ડેમમાં નર્મદા નીરનું લોકાર્પણ કરી રાજકોટને વધુ પાણીદાર બનાવશે.

આ અંગે મેયર બીનાબેન આચાર્યની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે કે, રાજકોટ શહેરને સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા કેનાલ મારફત પાણી મેળવી દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરવા આવે છે. અગાઉ શહેરનો પાણીનો પ્રશ્ન ખુબજ વિકટ હતો, પરંતુ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોને જોડવાની યોજના બનાવેલ. જેના અનુસંધાને માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ સુધીની નર્મદાના નીરની પાઈપલાઈનનું રૂ.૪૩૨ કરોડના ખર્ચે સમય મર્યાદા પહેલા જોડાણ કરી આજી જળાશયમાં નર્મદા નીર પહોંચાડેલ અને માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે નર્મદા નીરના વધામણા કરવામાં આવેલ.

રાજકોટ શહેરમાં વસ્તી તથા વિસ્તારમાં ખુબજ વધારો થયેલ છે જેના કારણે પાવાના પાણીની સમસ્યા ન રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી ન્યારી-૦૧ ડેમને પણ જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી હતી જે હાલ પૂર્ણતાના આરે છે. નર્મદાનું પાણી કાલે રાઉકી ગામ ખાતે છોડવામાં આવશે અને ત્યાંથી ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે. નર્મદા યોજના દ્વારા એક પંપ ચાલુ કરવામાં આવે તો દરરોજનું ૭ એમ.સી.એફ.ટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે. જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોટરવર્કસ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણા તેમજ સંબધક અધિકારીઓ, ન્યારી-૦૧ ડેમની સ્થળ મુલાકાત લીધી હતી.

કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-૦૧ ડેમમાં હાલ જળસપાટી ૮.૩૬ ફૂટ એટલે કે, તેમાં ૨૦૭ એમ.સી.એફ.ટી. પાણી છે જે મે ની શરૂઆત સુધી આ જથ્થો ચાલે એમ છે પરંતુ ન્યારી ઝોન હેઠળના વિસ્તારોને આગામી ચોમાસા સુધી નિયમિત પાણી પૂરું પાડી શકાય તે માટે સૌની યોજના મારફત પાણી મળવાનું શરૂ થતા પાણી સમસ્યા હલ થઇ જશે. ન્યારી-૦૧ ડેમની અગાઉની કુલ ઊંડાઈ ૬.૬૫ મીટર હતી અને તેની ક્ષમતા ૯૪૪ એમ.સી.એફ.ટી. જલસંગ્રહની હતી. ત્યારબાદ ડેમની ઊંચાઈ ૧ મીટર વધારવામાં આવતા કુલ ઊંડાઈ ૭.૬૫ મીટર(૨૫ ફૂટ) થઇ છે અને ડેમની કુલ જલસંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમ.સી.એફ.ટી થયેલ છે એટલે કે, ડેમની પાણી સંગ્રહની ક્ષમતામાં ૩૩્રુનો વધારો થયેલ છે.

અહી યાદ અપાવીએ કે, સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી આજી-૦૧ ડેમ પાસેના ત્રંબા ગામ સુધી પાઈપલાઈન બીછાવવામાં આવેલી છે. ત્યાંથી નર્મદા નીર ન્યારી-૦૧ ડેમમાં પહોંચાડવા માટે ત્રંબા ગામથી પારડી અને ત્યાંથી રાઉકી ગામ સુધી આશરે ૨૦ કિલોમીટર લંબાઈની ૩૦૦૦ એમ.એમ. તથા ૧૭૦૦ એમ.એમ.ની ૨ પાઈપલાઈન બિછાવવામાં આવી છે. ત્યાંથી પાણી ન્યારી-૦૧માં જશે. સિંચાઈ વિભાગ દ્વારા આ પાઈપલાઈન ચાર્જ કરી આવતીકાલ તેનું ટેસ્ટીંગ કરવામાં આવશે.

આ પાઈપલાઈનને મળતી ન્યારી-૦૧ ડેમમાં રોજનું ૭ એમ.સી.એફ.ટી. ઠલવાશે. વિસ્તૃત રીતે જોઈએ તો પ્રતિ કલાક ૮૨૩૨ કયુબિક મીટર એટલે કે, પ્રતિ સેકન્ડ ૨૨૩૨ લીટર પાણી ડેમમાં આવશે.(૨૧.૩૪)

(3:39 pm IST)