Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અઠવાડીયા પહેલા ઝેર અને એસિડ પી લેનારા હિદાયતભાઇ તથા ઇન્‍દ્રવદનભાઇએ દમ તોડયો

બજરંગવાડીના યુવાનમાં કારણ અકળઃ થોરાળાના વૃધ્‍ધ બિમારીથી કંટાળી ગયા'તા

રાજકોટ તા. ૨૭: ઝેરી દવા અને એસિડ પી આપઘાત કરી લેવાના બે બનાવમાં બજરંગવાડીના યુવાનનું અને નવા થોરાળાના વૃધ્‍ધનું મોત નિપજ્‍યું હતું.

બજરંગવાડી રાજીવનગરમાં રહેતાં હિદાયતભાઇ ઇબ્રાહીમભાઇ ડોડીયા (ઉ.વ.૩૫) નામના યુવાને ગયા શનિવારે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતાં. આજે વહેલી સવારે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર હિદાયતભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

બીજા બનાવમાં નવા થોરાળા આરાધના સોસાયટી-૫માં રહેતાં ઇન્‍દ્રવદનભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધે અઠવાડીયા પહેલા ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતાં. આજે સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બિમારીથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.

બિમારીથી કંટાળી ૯૦ વર્ષના કંચનબેને એસિડ પીધું

અન્‍ય એક બનાવમાં કોઠારીયા રોડ સોમનાથ સોસાયટી-૩માં રહેતાં કંચનબેન કેશુભાઇ દવે (ઉ.વ.૯૦) નામના વૃધ્‍ધાએ બિમારીથી કંટાળી એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે.

(4:25 pm IST)