Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

૮ ફેબ્રુઆરી સુધી ડોર-ટુ-ડોર સર્વે : મનપા દ્વારા ઘરે જ રસીકરણ ઝુંબેશ

કોરોનાનો બીજો અને પ્રીકોશન ડોઝ અપાશે : મ્યુ. કમિ. અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

રાજકોટ, તા. ર૮ : રાજકોટ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં વેકસીનેશન, ટેસ્ટીંગ જેવી કામગીરી નાગરિકોના ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી નાગરિકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. લોકો વેકસીન મુકાવે અને કોરોનાથી સુરક્ષિત થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮ થી ૦૮ ફેબ્રુઆરી દરમ્યાન ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જે અનુંસધાને આજે તા. ૨૮ ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજ્યના નોડલ ઓફિસર ડૉ. કમલેશ ઉપાધ્યાય દ્વારા શહેરના ત્રણેય ઝોન ખાતે મનપાના અધિકારીઓ સાથે ડોર ટુ ડોર અનુસંધાને મીટિંગ કરવામાં આવી હતી.

સર્વે દરમ્યાન જે નાગરિકોને વેકસીનનો બીજા ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકો અને જેઓનો પ્રિકોશન કોવીડ ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામે ચાલીને ઘર આંગણે જ રસી આપવામાં આવશે. આ કામગીરી વોર્ડના પ્રભારીઓ, વોર્ડ ઓફિસરો, નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો અને આંગણવાડી બહેનો દ્વારા હાથ ધરવામાં આવશે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગમાં રાજ્યના નોડલ ઓફિસર ડૉ. કમલેશ ઉપાધ્યાય તથા નાયબ મ્યુનિ. કમિશનર  આશિષ કુમાર,  ચેતન નંદાણી,  એ. આર. સિંહ, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારીઓ ડૉ. પંકજ રાઠોડ, ડૉ. હાર્દિક મેતા, તમામ મેડીકલ ઓફિસરો, તેમજ તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ, વોર્ડ ઓફિસરોે અને નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો, આંગણવાડી બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

(3:20 pm IST)