Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દેવકીનંદન સોસાયટીમાં પરિવારે લગ્ન કરવાની ના પાડતા એમ.પી.ની પુજાનો ફાંસો ખાઇ આપઘાત

ઉંમર નાની હોવાથી, પરિવારજનોએ ના પાડતા સગીરાએ પગલું ભર્યુ

રાજકોટ તા ૨૮  : શહેરના માંડા ડુંગર નજીક આવેલી દેવકીનંદન સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડતા લાગી આવતા સગીરાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના વતની હાલ રાજકોટ માંડા ડુંગર નજીક દેવકી નંદન સોસાયટીમાં ગમારા પેટ્રોલપંપની સામે રહેતી પૂજા દિલીપભાઇ બીંદ (ઉ.વ.૧૬) ના માતા-પિતા અને ભાઇઓ મજુરી કામે ગયા હતા અને પોતે ઘરે હતી ત્યારે તેણે છતમાં લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. નાનોભાઇ ઘરે જમવા માટે આવ્યો ત્યારે બહેનને લટકતી હાલતમાં જોતા તાકીદે તેના મોટાભાઇ અને માતા-પિતાને જાણ કરી હતી. જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને જાણ કરતા ૧૦૫ની ટીમે સ્થળ પર પહોંચી, ૧૦૮ના ઇ.એમ.ટી.ના તબીબ મેહુલભાઇએ તપાસ કરતા તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. વી.બી. સુખાનંદી અને રાઇટર કીરીટભાઇ રામાવતે તપાસ હાથ ધરી હતી. મૃતક ત્રણભાઇ અને ત્રણ બહેનમાં પાંચમાં નંબરની હતી. તેને માંડાડુંગર આસપાસ રહેતા એક યુવાન સાથે લગ્ન કરવા હોઇ, પરંતુ પુજાની ઉંમર નાની હોવાથી તેના માતા-પિતાએ ના પાડતા લાગી આવતા તેણીએ આ પગલું ભર્યુ હતું.

(3:26 pm IST)