રાજકોટ, તા.૨૭ :. અહીયા ગોંડલ રોડ ઉપર વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં ૪ વૈદવાડી ખાતે આવેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા સાડા ત્રણ દાયકાથી વારે-તહેવારે વિવિધ ઉત્સવો-કાર્યક્રમો થકી સન્યાસીઓ, સાધકો અને અનુયાયીઓને અંતરાનંદ અપાતો રહે છે...એવી જ રીતે રવિવારે પણ સ્વામી જીવન અલમસ્તને શ્રધ્ધાંજલિ પાઠવવા સાથે સાથે ૨૦૧૭ને વિદાય આપી ૨૦૧૮ને આવકારાશે ત્યારે ધ્યાન-સાધનાનો સુવર્ણ સંગમ સર્જાવાથી લાભ લેનાર સૌને જીવનમાં 'ખુશીઓ' ખિલવવાનો વધુ એક અણમોલ અવસર પ્રાપ્ત થશે.
સ્વામી જીવન અલમસ્ત (જગદિશભાઇ જે.પંડયા)ના નિવાણાર્થે યોજાનાર શિબિરમાં સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન, ૭-૧૫ થી ૮ બ્રેક ફાસ્ટ, ૮-૩૦ થી ૧ સુધી ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે ૧ થી ૩ સુધી મહાપ્રસાદ (હરિહર)-વિશ્રામ તથા બપોરે ૩ થી ૮-૩૦ દરમિયાન વિડીયો દર્શન, વિવિધ ધ્યાન પ્રયોગો, સન્યાસ ઉત્સવ-સંધ્યા ધ્યાન તેમજ સ્વામી જીવન અલમસ્તને શ્રધ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ અને ૮-૩૦ પછી મહાપ્રસાદ (હરિહર)નું આયોજન કરાયુ છે.સાથે સાથે સ્વામી દેવરાહુલ (નિતિનભાઇ ચાંદેગ્રા) પણ પ્રવચન આપનાર છે.
સ્વામી જીવન અલમસ્ત વિશે જાણો
સ્વ. જગદિશભાઈ જયંતીલાલ પંડયા (સ્વામી જીવન અલમસ્ત) એ રાજકોટ નાગરીક બેંકમાં ઓફિસર તરીકે જવાબદારી નિભાવતા હતા. તેઓ ઓશો પરિવારમાં ખૂબ જ ચાહના ધરાવનાર સન્યાસી હતા જ્યારે તેઓની તબીયત નરમ-ગરમ રહેતી હતી ત્યારે તેઓ કહેતા કે, અમો બન્ને જણા પતિ-પત્નિ એકી સાથે તા. ૩૧-૧૨-૨૦૧૭ના નોકરીમાંથી નિવૃત થઈએ છીએ. ત્યારે એક દિવસની ઓશો ધ્યાન શિબિર રાખવી છે, પણ કુદરતને જે મંજુર હોય તે પ્રમાણે સ્વામી જીવન અલમસ્ત તા. ૨૪ ઓકટોબરે નિર્વાણ પામ્યા. પોતે જે ઈચ્છા રાખી તે ઈચ્છા તેમના પત્નિ નલિનિબેન (માં આનંદિતા) એ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. પતિ-પત્નિ ઓશોના સન્યાસી છે.
સ્વામી જીવન અલમસ્તને સ્મરણાંજલી રૂપે રાખવામાં આવેલ શિબિરના સંચાલક સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે. આહયા) એ ઓશો પાસે જ સન્યાસ દિક્ષા અંગીકાર કરેલ છે. તેઓને શકિતપાત પણ આપેલ છે. સાથે જ ધ્યાનની ગહનધારામાં ઉંડાણ ધરાવતા હોવાથી સાધકોને માર્ગદર્શન પુરૂ પાડે છે. સ્વામીજી જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી છે અને હાલ ઈશ્વરીયા પાર્ક હીલ ગાર્ડન ખાતે મેનેજર તરીકે કાર્યરત છે.
આ ઉપરાંત ૩૧મી ડિસેમ્બર વર્ષનો અંતિમ દિવસ હોવાથી સ્વામી સત્ય પ્રકાશ તરફથી દર વર્ષની માફક 'બાય-બાય ૨૦૧૭' તથા 'વેલકમ ૨૦૧૮'નો કાર્યક્રમ પણ રાત્રે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી યોજાનાર છે. જેમાં ઓશોના કિર્તન, ડાન્સનો લ્હાવો સૌને મળનાર છે.
ઓશોના વિચારોને વહેતા કરવામાં સ્વામી સત્ય પ્રકાશજીનો સિંહફાળો...
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશ ઓશોના કાર્ય સાથે છેલ્લા ૫૦ વર્ષથી સંકળાયેલા છે. તેઓ રાજકોટ ખાતેનું કાર્ય છેલ્લા ૩૫ વર્ષથી કરે છે. હાલ વિશ્વમાં ઓશોના હજારો ધ્યાન કેન્દ્રો અને આશ્રમો છે. એમાના થોડા ઘણા ધ્યાન કેન્દ્રો અને આશ્રમોમાં નિયમીત ધ્યાન-સાધના થાય છે. એમાનું રાજકોટનું ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર છે. છેલ્લા ૩૫ વર્ષથી ધ્યાન સન્યાસ તથા ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એક માત્ર ઓશો ધ્યાન કેન્દ્ર છે. જ્યાં દરરોજ સવારે ત્યાં સાંજે નિયમિત ઓશોના ધ્યાન થાય છે. દર માસે એક દિવસીય ધ્યાન શિબિર યોજાય છે અને વર્ષમાં ત્રણથી ચાર મુખ્ય ત્રિદિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.
ઉપરાંત ઓશોના તમામ વાર્ષિકોત્સવ જે તે સમયે ઉજવવામાં આવે છે. કેન્દ્રમાં ઓશોનું તમામ સાહિત્ય હિન્દી, અંગ્રેજી પુસ્તકો, સી.ડી.-ડી.વી.ડી. લાયબ્રેરી સીસ્ટમ તેમજ વેચાણ માટે ઉપલબ્ધ છે. એવી જ રીતે દર મહિને પ્રસિદ્ધ થતા ઓશોને લગતા તમામ માસિકો તથા પાક્ષીકો વેચાણ માટે ઉપલબ્ધ છે. સ્વામીજી પુસ્તક પ્રદર્શન અવારનવાર યોજે છે. જે ૧૦ દિવસથી ૧૨૦ દિવસ સુધીના હોય છે. સાથે સાથે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઓશો પુસ્તકોની લાયબ્રેરી ચાલુ હોય છે તો આધ્યાન કેન્દ્ર સંન્યાસ લેવા તેમજ ધ્યાન કરવા માટે ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક હંમેશા ખુલ્લુ રહે છે. બહાર ગામથી આવતા સંન્યાસી મિત્રો માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા છે. સ્વામી સત્યપ્રકાશજી સફળતાપૂર્વક વ્યવસ્થિત સંચાલન કરી રહ્યા છે.ઙ્ગ
રવિવારની શિબિરમાં બહોળી સંખ્યામાં ઓશો પ્રેમી, સંન્યાસીઓને લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે. વધુ માહિતી તથા સહભાગીતા માટે નામ નોંધણી કરાવવા સંપર્ક સુત્રનો સંપર્ક કરવો...
સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે. આહયા) (મો. ૯૪૨૮૨ ૦૨૨૫૫), સ્વામી સત્યપ્રકાશ (મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬), તપનકુમાર જગદિશભાઈ પંડયા (મો. ૭૩૮૩૧ ૧૨૧૩૧), દિપકસિંહ ડોડીયા (મો. ૯૯૦૯૦ ૦૦૯૧૯)નો સંપર્ક સાધી શકાય છે.