Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ન્યુ રાજદિપમાં લુહાર યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ વ્યાજખોરોનો ત્રાસ હોવાની ભારે ચર્ચા?

ફેબ્રીકેશન અને ટૂર ટ્રાવેલ્સનું કામ કરતાં ૪૨ વર્ષિય ચેતનભાઇ પરમારના આપઘાત પાછળ પોલીસ ઉંડી ઉતરે તો સત્ય બહાર આવે તેમ હોવાનું મિત્રવર્તુળોનું કથન

રાજકોટ તા. ૨૭: મવડીની ન્યુ રાજદિપ સોસાયટીમાં ૪૦ ફુટ રોડ પર રહેતાં ચેતનભાઇ શાંતિભાઇ પરમાર (ઉ.૪૨) નામના લુહાર યુવાને સાંજે ઘરમાં પંખા સાથે વાયર બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સ્વજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આપઘાત પાછળ પોલીસ તપાસમાં હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. પણ ચેતનભાઇના અંગત મિત્ર વર્તુળોમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે વ્યાજખોરોનો ભારે ત્રાસ હતો.

ચેતનભાઇના પત્નિ મીનાબેન સાંજે બહારથી ઘરે આવ્યા ત્યારે ચેતનભાઇ લટકતાં જોવા મળ્યા હતાં. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ. ટી. રબારી અને રાઇટર ભગીભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર ચેતનભાઇ બે ભાઇ અને પાંચ બહેનમાં નાના હતાં અને ફેબ્રીકેશનનું કામ કરવા ઉપરાંત ટૂર ટ્રાવેલ્સનો વ્યવસાય પણ કરતાં હતાં. તેમના માતા વનીતાબેન મોટા પુત્ર દેવેન્દ્રભાઇ સાથે શ્રીનગર-૬માં રહે છે. ચેતનભાઇ પોતાના પત્નિ સાથે અલગ રહેતાં હતાં. પરિવારજનોએ આપઘાતનું કોઇ કારણ દર્શાવ્યું નથી. પરંતુ મૃતકના મિત્ર વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેટલાક લોકો પૈસાની ઉઘરાણી માટે ચેતનભાઇને હેરાન કરતાં હતાં. આ કારણોસર કદાચ તેઓ આ પગલુ ભરવા મજબુર થવા હોવા જોઇએ. પોલીસ ઉંડી ઉતરી મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવે તો ઘણુ બહાર આવે તેમ હોવાનું પણ કહેવાય છે.

(3:43 pm IST)