Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજકોટ - અમદાવાદ સિકસ લેન સંદર્ભે જમીન સંપાદન અંતર્ગત વળતર ચૂકવવાનું શરૂ : સવા બે કરોડ ચુકવાયા

કુચિયાદડના ખેડૂતોને વળતર ચુકવાયુ : હવે તરઘડીયા - આણંદપરના જમીન ધારકોને અપાશે

રાજકોટ તા. ૨૬ : રાજકોટ-અમદાવદ બહુહેતુક નેશનલ હાઇવેના ભાગ ૨૫ ને. હા.નં-૨૭ (રાજકોટ-બામણબોર)ને ચાર માર્ગીયમાંથી છ માર્ગીય કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે અન્વયે સંપાદિત થતી જમીનોના વળતર માટે તાજેતરમાં આખરી એવોર્ડ કરવામાં  આવ્યો હતો.

રાજકોટ શહેર પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ કુચિયાદડ, તરઘડીયા અને આણંદપર (નવાગામ)ની સંપાદિત થયેલ જમીનોના વળતર અંગે આખરી અવોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં કુચિયાદડ ગામની સંપાદિત થયેલ જમીનોના ધારકોને વળતરની રૂ. ૨,૩૪,૬૭,૦૦૦ રકમના ચેકનું વિતરણ કરવામાં આવેલ હતું. આગામી સમયમાં તરઘડિયા અને આણંદપર(નવાગામ)ના સંપાદિત થયેલ જમીનના ધારકોને વળતર રકમ ચૂકવામાં આવશે.  માલિયાસણ અને કુવાડવાના સંપાદિત થયેલ જમીનના ધારકોને પણ સત્વરે આખરી એવોર્ડ જાહેર કરાયા બાદ વળતરની રકમ ચુકવવામાં આવશે. જેમની જમીન સંપાદિત થઇ છે. તેવા તમામ જમીન ધારકોને ૨૦૧૩માં અમલી બનેલા નવા જમીન સંપાદન અધિનિયમ મુજબ વળતરની ચૂકવણી કરવામાં આવી છે.

(11:39 am IST)