Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સોની બજારમાં ૧૩ લાખના સોનાના ઘરેણાની ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

''ચાર્જશીટ'' બાદની જામીન અરજી હાઇકોર્ટે પણ ફગાવી દીધી

રાજકોટ તા. ર૭: રાજકોટના સોની બજારના ચકચારી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની છેતરપીંડી અને વિશ્વાસઘાત ગુનામાં આરોપી કીરીટ ફીચડીયાની ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામે બનાવની ટુંકી વિગત જોવામાં આવે તો ફરીયાદી મુજીબુલ ઉર્ફે મનજીત સુફુરઅલી મલીકે ભકિતનગર પો. સ્ટે.માં તારીખ ૭/૦૯/ર૦૧૯ના આરોપી કિરીટભાઇ પ્રભુદાસભાઇ ફીચડીયા વિરૂધ્ધ પોતાની સાથે પુર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી આશરે ૧૩ લાખ રૂપિયાના સોનાના ઘરેણાની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવા અંગેની ફરીયાદ આપેલી જેથી પોલીસે આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦ તથા ૧ર૦(બી) અન્વયે ગુન્હો દાખલ કરેલ અને બન્ને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીના રીમાન્ડ મંજુર થયેલા. પરંતુ આક્ષેપીત ૪૧પ ગ્રામ આશરે ૧૩ લાખનું સોનું ઓળવી જવાની જે ફરીયાદ હતી તેમાંથી કાંઇ રીકવરી થઇ શકેલ નહીં. રીમાન્ડના અંતે પોલીસે આરોપીને કોર્ટમાં ફરીથી રજુ કરતા આરોપીને જામીન ઉપર છુટવા અરજી કરતા મેજી. શ્રી એન. આર. વાઘવાણી એ બન્ને આરોપીની અરજી નામંજુર કરેલ. ત્યારબાદ આરોપીએ ડીસ્ટ્રીકટમાં જામીન અરજી કરતા એડી. સેશન્સ જજ શ્રી કે. ડી. દવે મેડમ પણ સદરહું જામીન અરજી નામંજુર કરેલ અને ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા તેમજ મુળ ફરીયાદીના વકીલશ્રીએ વિસ્તૃત લેખીત વાંધાઓ રજુ કરેલ તથા ગુન્હાની ગંભીરતા વગેરે ધ્યાને લઇ આરોપી કીરીટ ફીચડીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી પણ ગુજરાત હાઇકોર્ટે નામંજુર કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી વતી ગુજરાત હાઇકોર્ટમાં શ્રી વિકીભાઇ મહેતા તથા રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, હનીફ કટારીયા તથા શકિત ગઢવી રોકાયેલ હતા.

(4:00 pm IST)