Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પંચનાથ હોસ્પિટલનો સોમવારે ૧૮માં વર્ષમાં પ્રવેશ

તા.૨ થી ૪ માર્ચ સુધી ફૂલબોડી ચેકઅપ પર ૧૦ ટકા વળતર અપાશે

રાજકોટ,તા.૨૭: આજથી ૧૭ વર્ષ પહેલા એટલે કે તા.૨/૩/૨૦૦૩ના રોજ માત્ર ને માત્ર દરિદ્ર નારાયણની સેવા કરવાના ઉદ્દેશથી સ્વર્ગસ્થ શ્રી પ્રદ્યુમનભાઈ માંકડ, સ્વર્ગસ્થ શ્રી નારણભાઈ મહેતા, વર્તમાન માનદ મંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા તથા અન્ય સેવાભાવી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા શ્રી પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટની સ્થાપના કરીને હોસ્પિટલના બીજ રોપવામાં આવેલ તે આજે વટવૃક્ષ તરફ પ્રયાણ કરી રહ્યું છે.

શ્રી પંચનાથ હોસ્પિટલનો ૧૮માં વર્ષે મંગલ પ્રવેશ થઈ રહ્યો હોય તા.૨ થી ૪ માર્ચ સુધી ત્રણ દિવસ માટે ફૂલબોડી ચેકઅપ ઉપર  ૧૦ ટકા વળતર આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને તાલીમ પામેલા વિનયી અને વિવેકી સ્ટાફ દ્વારા ડેન્ટલ, આંખ, લેબોરેટોરી, એક્ષ-રે, સોનોગ્રાફી, ઈસીજી, ટીએમટી તથા હોલ બોડી ચેકઅપ જેવા વિભાગો સતત કાર્યરત છે. હોસ્પિટલના ટ્રસ્ટનું મૂળભૂત સેવાકીય ઉદેશ હોવાને પરિણામે ઓપીડી વિભાગ દ્વારા રોજ અનેક દર્દીઓએ નજીવા દરથી નિદાન મેળવીને સંતોષ વ્યકત કરેલ છે.

તદુપરાંત બીજા રોગો જેવા કે હાડકાના રોગો, ચામડીના રોગો, કિડનીના રોગો, સ્ત્રીના રોગો, આંખના રોગો જેવા કે નંબર, જામર, વેલ કે પડદાના પરિક્ષણોની તપાસ અનુભવી અને નામાંકિત નિષ્ણાંતો દ્વારા રાહત દરે કરવામાં આવે છે.

જો પરિક્ષણ કરાવનાર રાજકોટ નાગરિક સહકારી બેંકનું સભાસદ ધરાવતા હોઈ તો થયેલા ચાર્જીસના ૫૦ટકા અથવા તો જેતે નાણાકીય વર્ષ (એપ્રિલ થી માર્ચ) દરમ્યાન વધુમાં વધુ રૂ.૧ હજાર સુધીનું વળતર મેળવી શકે છે.

અત્યાર સુધીના હોસ્પિટલમાં થયેલા વિકાસના ડો.રવિરાજ ગુજરાતી, શ્રી નીરજભાઈ પાઠક, શ્રી નીખિલભાઈ મહેતા, શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી જૈમીનભાઈ જોષી, શ્રી ભવ્યભાઈ પારેખ, શ્રી મનુભાઈ ધાંધા જેવા રાજકોટ શહેરના નામાંકિત અગ્રણીઓનો સહકાર મળી રહ્યો છે.

દર્દીઓને સચોટ અને નજીવા દરથી નિદાન એજ પ્રાથમિકતાની ભાવના કે સદ્દભાવના ધરાવતા શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો.લક્ષ્મણભાઈ ચાવડા, માનદ મંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા, કોષાધ્યક્ષ શ્રી ડી.વી.મહેતા, ટ્રસ્ટીશ્રીઓ શ્રી વસંતભાઈ જસાણી, શ્રી મહેન્દ્રસિંહ ગોહેલ, શ્રી નીતિનભાઈ મણીયાર, શ્રી મિતેશભાઈ વ્યાસ, શ્રી નારાયણભાઈ લાલકિયા, જૈન અગ્રણી શ્રી મયુરભાઈ શાહ તેમજ શ્રી મનુભાઈ પટેલ જેવા સામાજીક સેવકો દ્વારા નજીકના ભવિષ્યમાં જ ૫૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ કે જેમાં જનરલ વોર્ડ પણ સંપૂર્ણ વાતાનુકુલિતની સગવડતા ધરાવતી હશે. આવી અદ્યતન હોસ્પિટલ રંગીલા રાજકોટની જનતાને અર્પણ કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

વધુ માહિતી માટે શ્રી પંકજભાઈ ચગ (મો.૯૮૭૯૫ ૭૦૮૭૮), શ્રીમતી ધૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર ) અથવા તો લેન્ડ લાઈન નંબર ૦૨૮૧- ૨૨૩૧૨૧૫ / ૨૨૨૩૨૪૯ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(1:19 pm IST)