Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વેપારી અને દલાલોની ૯ દિવસની લાંબી ઐતિહાસિક હડતાલ સમેટાતા રાજકોટ માર્કેટયાર્ડ ફરી ધમધમ્યુ

રાજકોટ, તા.  ૨૭ :. રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમ-૨ના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને વેપારીઓ અને દલાલોની ૯ દિવસ લાંબી ઐતિહાસિક હડતાલ અંતે સમેટાતા આજે યાર્ડમા ફરી હરરાજીનો ધમધમાટ શરૂ થયો હતો.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી ચક્કાજામ કરનાર વેપારી સહીત ૩ર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને વેપારીઓ દ્વારા રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન અપાયુ હતુ જે અંતર્ગત છેલ્લા નવમાં દિવસથી રાજકોટ યાર્ડ બંધ રહ્યુ હતું. યાર્ડ બંધ રહેતા નવ દિવસ દરમિયાન ૧૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયુ હતું.

દરમિયાન આજે કિશાન સંઘના આગેવાનોએ મધ્યસ્થી કરી  યાર્ડના પદાધિકારીઓ અને વેપારીઓ તેમજ કમીશન એજન્ટ એસોસીએશનના હોદેદારો સાથે મીટીંગ યોજી હડતાલ સમેટવા ચર્ચા-વિચારણા કરી હતી. યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવનો પ્રશન મહદ અંશે ઉકેલાઇ ગયો છે જયારે વેપારીઓ સામેના પોલીસ કેસ પાછા ખેંચવાના મુદ્દા અંગે સરકારમાં રજુઆત કરવામાં યાર્ડના પદાધિકારીઓ સાથે રહેશે તે બાબતે સહમતી સધાઇ હતી તેમજ યાર્ડના વેપારી આગેવાન અને પૂર્વ ચેમ્બર પ્રમુખ હરેશભાઈ વોરાએ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળી યાર્ડના વેપારીઓ સામેના પોેલીસ કેસ સહિતના મુદ્દે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ યોગ્ય કરવાની ખાત્રી આપતા અંતે વેપારીઓએ હડતાલ સમેટી લીધી હતી.

૯ દિવસની લાંબી હડતાલ બાદ આજે યાર્ડ ફરી ચાલુ થત વિવિધ જણસીઓની હરરાજી થઈ હતી. આજે બપોર બાદ નવી આવકો શરૂ થશે તેમ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા તથા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

(11:19 am IST)