Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોંગ્રેસે સકારાત્મક નેતા ગુમાવ્યા, અહેમદભાઇના પરિવારને દિલસોજી પાઠવતા માંધાતાસિંહ

મનોહરસિંહજી દાદા સાથેની સ્મૃતિ પણ તાજી કરી

રાજકોટ તા. ૨૬: કોંગ્રેસના સિનિયર નેતા, રાજયસભાના સાંસદ શ્રી અહેમદભાઇ પટેલનું અવસાન થતાં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ એમને શ્રધ્ધાંજલી પાઠવી છે.કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષાના એક કર્મઠ નેતા ગુમાવ્યા છે એવું એમણે જણાવ્યું છે. સ્વ. અહેમદ પટેલના પુત્ર તથા પરિવારને એક પત્ર પાઠવીને એમણે દિલસોજી પાઠવી છે.

અહેમદભાઈના પુત્ર ફૈઝલભાઈને પત્ર પાઠવીને શ્રી માંધાતાસિંહજીએ જણાવ્યું છે કે આપના પિતાશ્રી અને લોકાભિમુખ નેતા, કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય અગ્રણી તથા અમારા પરિવારના પણ સ્નેહી શ્રી અહેમદભાઇના દુઃખદ અવસાનના સમાચાર અમારા માટે પણ આપ સૌ જેટલા જ શોકજનક છે. કોંગ્રેસ પક્ષમાં એમની દીર્દ્યકાલીન સેવાઓ પણ સદાય યાદ રહેશે. આજે હું વિશેષ દુઃખની લાગણી એટલા માટે અનુભવું છું કે મારા પિતાશ્રી સ્વ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા આજીવન કોંગ્રેસમાં રહ્યા અને એમની સાથે શ્રી અહેમદભાઇના અંગત સંબંધો હતા. બન્ને વચ્ચે રાજકીય સંબંધ ઉપરાંત હુંફાળી મૈત્રી અને પારીવારિક સંબંધ હતો. તેવું શ્રી માંધાતાસિંહજીએ સ્વ. અહેમદભાઇના પરિવારને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું. આપના પરિવાર પર આવી પડેલું આ દુઃખ સહન કરવાની પ્રભુ આપને શકિત આપે એવી પ્રાર્થના.

તેમણે ઉમેર્યું તે બે વર્ષ પહેલાં મારા પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું ત્યારે સ્વ.શ્રી અહેમદભાઇએ પોતે રૂબરૂ અમારા નિવાસ સ્થાને પધારીને લાગણી વ્યકત કરી હતી.

(3:33 pm IST)