Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ખોખડદળથી ભગાડી જવાયેલી ૧૩ વર્ષની બાળાનું નખત્રાણામાં વિજ શોકથી મોતઃ ગોવિંદે અપહરણ કર્યુ'તું

મૃત્યુ પામનાર બાળાના ખોખડદળ રહેતા ભાઇ દેવરાજ પરમારની ફરિયાદ પરથી આદીપુરનાં શખ્સ સામે કાર્યવાહી

રાજકોટ તા. ર૬: શહેરના ખોખડદળ ગામમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે કચ્છના આદીપુરનો શખ્સ ભગાડી ગયા બાદ સગીરાનું વિજ શોકથી મોત નિપજતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોખડદળ ગામમાં રહેતી સગીરા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન સગીરાને તેના મોટાભાઇનો સાળો ગોવિંદ રામુભાઇ કુવરીયા (રહે. આદીપુર ગોપાલનગર, કચ્છ) ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદ સગીરાના ભાઇએ તેના સસરાના ઘરે તપાસ કરતા સાળો ગોવિંદ હાજર મળેલ ન હતો. બાદ સગીરાના ભાઇએ સાળા ગોવિંદનો ફોનમાં કોન્ટેક કરીને સગીરાને પરત લઇ આવવા બાબતે વાત કરતા તેણે પરત આવી જશે તેમ જણાવતા પોલીસ ફરિયાદ થઇ ન હતી. દરમ્યાન ગત તા. ર૦/૧૧ના રોજ ગોવિંદના મોબાઇલમાંથી ફોન આવેલ અને કોઇ અજાણ્યો વ્યકતી વાત કરી હતી કે, આ ગોવિંદ સાથે જે છોકરી છે તેને ઇલેકટ્રીક શોક લાગતા તે મૃત્યુ પામેલ છે તેમ વાત કરતા સગીરાનો ભાઇ દેવરાજ કિશોરભાઇ પરમાર નખત્રાણા સરકારી હોસ્પિટલે ગયો ત્યારે ત્યાં પોતાની બહેનનો મૃતદેહ પડયો હતો. બાદ તેણે ત્યાં સગીરાનાં મૃતદેહનું પી.એમ. કરાવી અંજાર ખાતે અંતીમવિધી કરી હતી. ત્યારબાદ મૃતક સગીરાના ભાઇ દેવરાજ કિશોરભાઇ પરમારે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોવિંદ રામુભાઇ કુવરીયા (રહે. આદીપુર કચ્છ) સામે અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ એમ. જે. રાઠોડે તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)