Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સાઇકલ ચલાવીને આવનાર મ.ન.પા.ના અધિકારીઓ- કર્મચારીઓની પીઠ થાબડતા પદાધિકારીઓ

મેયર બિનાબેન આચાર્ય અને મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં પુરસ્કાર એનાયત કરાયો : ચિઠ્ઠીનાં ડ્રો કરી પાંચ નામો પસંદ કરાયા

રાજકોટ,તા. ૨૬:  શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ'ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દર શુક્રવારે મનપાના અધિકારીઓ-કર્મચારીઓ ઘરેથી ઓફીસ સુધી સાયકલિંગ કે ચાલીને અથવા માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહયા છે. આ અભિયાનને વધુ પ્રોત્સાહન મળી રહે તેવા આશય સાથે આજે મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીશ્રીઓને પુરસ્કાર એનાયત કરી તેઓનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. આ અવસરે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક  અજયભાઈ પરમાર ઉપરાંત નાયબ કમિશનર એ.આર.સિંઘ અને શ્રી ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહયા હતાં.

સાઈકલ ચલાવીને ઓફિસે આવનારા કર્મચારીઓના નામોની ચિઠ્ઠી બનાવી આજે મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચિઠ્ઠીનો ડ્રો કરી કુલ પાંચ નામો પસંદ કરવામાં આવેલ હતાં. તેમાં નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, ઉપરાંત કન્ઝર્વન્સી વિભાગના ડ્રાઈવર જગદીશભાઈ ખોરાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મજુર હિતેશભાઈ ત્રિવેદી, એ.એન.સી.ડી.ના કર્મચારી મિતાલીબેન બાટલીયા અને વોર્ડ નંબર – ૧૮ ના વોર્ડ ઓફિસર નીરજભાઈ રાજયગુરૂના નામોનો સમાવેશ થાય છે.  મેયર બિનાબેન આચાર્ય અને અન્ય પદાધિકારીઓના હસ્તે નાયબ કમિશનર શ્રી બી.જી.પ્રજાપતિને પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.

આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી.

(4:00 pm IST)