Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

શ્રાધ્ધનું પિતૃઓની તૃપ્તિ- મુકિતના ઉપાયો

ભારતીય સંસ્કૃતિમાં શ્રધ્ધાનું અનેરૂ મહત્વ છે. શ્રાધ્ધ માટે શાસ્ત્રોની આજ્ઞા જાણવી જરૂરી છે. કારણ કે, શ્રી ભગવાને કોઈપણ ધર્મ કાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાનું મહત્વ ભગવદ્દ ગીતા અધ્યાયઃ૧૬, શ્લોક ૨૪માં કહ્યું છે.

અહીં શ્રાધ્ધ વિશેની માહિતી સ્કંદ મહાપુરાણ- નાગર ખંડ- અધ્યાય- ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯ માંથી લેવામાં આવી છે.

ઉપરોકત શ્લોકમાંથી શ્રાધ્ધ વિશેની સાવ થોડી માહિતી અમારી અલ્પ સમજણ મુજબ ભગવદ્દ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અહી આપે છે. જેના વકતા- સૂતજી મહારાજ, શ્રી બ્રહ્મા, ભર્તુયજ્ઞ... તથા શ્રોતા- રોહિતાશ્વ રાજા, ઋષિઓ, માર્કડેય, દેવ- પિતૃઓ, મનુષ્ય પિતૃઓ, આનર્તાધિપતિ...

શ્રાધ્ધ માટેનો સમય કાળઃ- જે પિતૃઓને વ્હાલી તીથિઓ છે તે કાળમાં નિયમ મુજબ કરેલું શ્રાધ્ધ અક્ષય ફળ આપે છે. આસો સુદ નોમ, કાર્તિકની સુદ નોમ, ફાગણની અમાસ, વૈશાખ સુદ ત્રીજ, મકકર સંક્રાંતિ, કર્ક સંક્રાંતિ, શ્રાવણ વદ આઠમ, વિષુવનો કાળ, અન્ય અષાઢની પૂર્ણિમાં, સૂર્ય સંક્રાંતિનો કાળ, કાર્તિક- ફાગણ- ચૈત્ર- જેઠની પૂર્ણિમાં, સૂર્ય ગ્રહણ વ્યતિપાત.

આ તિથીએ તલ, દર્ભથી યુકત જળ પણ પિતૃઓને અક્ષય બને છે. આ સમય સ્નાન, દાન, જળ શ્રાધ્ધ વગેરેમાં મહાન ફલ આપનારો સમય છે. જયારે સૂર્ય કન્યા રાશિનો થાય છે ત્યારે પિતૃઓ તેમના વંશ પાસેથી શ્રાધ્ધની ઈચ્છા રાખે છે.

અપમૃત્ય પામેલાનું શ્રાધ્ધની તિથીઃ- શસ્ત્રથી મૃત્યુ પામેલા, અપમૃત્યુ, અકસ્માત, વિષ વડે, અગ્નિમાં, જળમાં ડુબીને, સર્પદંશથી, શિંગડાએ પરોવીન મૃત્યુ પામેલા, ગળે ફાંસો ખાઈને મૃત્યુ થયેલા, આ બધાનું ચૌદશ ઉપર એકોદ્રષ્ટિ શ્રાધ્ધ કરવું તેથી તેમને તૃપ્તિ મળે.

અમાસે કરાયેલા શ્રાધ્ધનું વિશેષ મહત્વઃ- સૂર્યના હજારો કિરણોમાં અમા નામનું કિરણ શ્રેષ્ઠ છે. ચંદ્ર તે દિવસે તે કિરણમાં વસે છે તેથી તે દિવસ અમાવસ્યા તિથી કહેવામાં આવે છે. તે દિવસે શાસ્ત્રની વિધી મુજબ શ્રાધ્ધ કરનાર મનુષ્યો સુખી થાય છે. તેમ બ્રહ્માજીનું વચન છે.

જેવી રીતે ઠંડીથી પીડાયેલા લોકો અગ્નિની, રજાઈની ઈચ્છા રાખે છે તેવી રીતે ક્ષુધાથી પીડાયેલા પિતૃઓ અમાસે (શ્રાધ્ધ મેળવવાની) ઈચ્છા રાખેલ છે.

જેમ ગરીબ મનુષ્ય ધનની ઈચ્છા કરે છે, ખેડૂતો અનાજની વૃધ્ધિ માટે વર્ષાની ઈચ્છા કરે છે તેમ પિતૃઓ અમાસના શ્રાધ્ધને ઈચ્છે છે.

અમાસ પર જલથી શાક વગેરે અન્નદાનથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. અમાસ પર શ્રાધ્ધ કરનારને મહાન ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાધ્ધમાં દક્ષિણાનું અનન્ય મહત્વઃ- જો શ્રાધ્ધ (અજાણતાથી) મંત્રહીન, કાલ વગરનું વિધીહીન થયું હોય તો દક્ષિણા અપાતા તે સંપૂર્ણ બને છે. માટે શ્રાધ્ધની પરિપૂર્ણતા માટે પિતૃઓની તૃપ્તિ તથા શાસ્ત્રની આજ્ઞાનાપાલન માટે દક્ષિણા સહિત જ શ્રાધ્ધ કરવું. જો શકિત હોય તો પિતૃઓને ઉદ્દેશી ચાંદીની દક્ષિણા આપવી.

શ્રાધ્ધ માટેનું અન્નઃ- શ્રાધ્ધ માટે ઘઉં, ડાંગર, જળ, દાળ, મગ, સામો, મધ, દુધપાક કે ખીર, ઘીનું અન્ન આપવું. ચાંદીના વાસણોમાં જ બ્રાહ્મણોને જમાડવાથી પિતૃઓને અક્ષય તૃપ્તિ થાય છે. ચાંદીના અભાવમાં ચાંદીના વાસણોનું ફકત નામ લેવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે. શ્રાધ્ધમાં મધ પણ આપવું. જો મધનું એક ટીપું પણ ન હોય તો મધનું ફકત નામ લેવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે. ગાયના દૂધ તથા ગાયનું ઘી શ્રાધ્ધમાં પિતૃઓને આપવાથી તેમની તૃપ્તિ થાય છે.

શ્રાધ્ધમાં શ્રધ્ધા જ મૂળ છે. તેથી તે શ્રાધ્ધ કહેવાય છે. માટે શ્રધ્ધાપૂર્વક કરાયેલું શ્રાધ્ધ વ્યર્થ જતું નથી. મનુષ્યએ પોતાની શ્રધ્ધા તથા શકિત અનુસાર પિતૃઓને અનેક પ્રકારના અન્નો, જલ, નૈવેદ્ય, વસ્ત્રો, પુષ્પો, ગંધ, ધૂપો, દક્ષિણા વગેરે વડે તૃપ્ત કરવા પિતૃતર્પણ કરવું અને બ્રાહ્મણોને જરૂરીયાતવાળા મનુષ્યોને અન્ન, જળ, વસ્ત્ર, સુવર્ણ, ચાંદી વગેરેના દાન આપવા.

શ્રાધ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતા પાઠનું અદ્દભૂત ફળઃ- જે મનુષ્ય શ્રાધ્ધમાં પિતૃઓને ઉદેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાંથી (પિતૃઓ) સદ્દગતિને પામે છે.

ગીતાના પાઠથી પ્રસન્ન થયેલા, શ્રાધ્ધાથી તૃપ્ત થયેલા પિતૃઓને પુત્રને આર્શીવાદ આપતા પિતૃલોકમાં જાય છે.

કર્મ ફળ વિશેઃ- શ્રી કૃષ્ણ ભગવાને કર્મ અને તેના ફળ વિશે સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કર્મમાં તારો (મનુષ્યનો) અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મ ફળના હેતુવાળો ન થા તેમજ કર્મ ન કરવામાં તારી (મનુષ્યની) આશકિત ન થાઓ. (શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ૨:૪૭)

તેથી કોઈપણ ધર્મ- કર્મ કર્મકાંડ તથા શાસ્ત્રોકત વિધી વિશે શાસ્ત્રોમાં દર્શાવેલા ફળ વિશે અમારા તરફથી કોઈ ખાતરી આપવામાં આવતી નથી. મનુષ્ય પોતાની શ્રધ્ધા અનુસાર ધર્મ- કર્મ કરે એ જ યોગ્ય છે.

જે શ્રધ્ધા તથા શ્રધ્ધા ધર્મ- કર્મ માટે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં કહ્યું છે કે, હે ભારત ! મનુષ્યોની શ્રધ્ધા તેમના અંતઃ કરણની શુધ્ધિ અનુસાર હોય છે. પ્રત્યેક મનુષ્ય શ્રધ્ધામય છે અને જેવી જેની શ્રધ્ધા હોય છે તેવા જ તે હોય છે. (ગીતા ૧૭:૩)

હે અર્જુન! અશ્રધ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ (ધર્મ- કર્મ) કરવામાં આવે છે તે ''અસત'' કહેવાય છે, તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારક થતુ નથી.(ગીતા ૧૭:૨૮)

(શ્રી ગીતા મહાત્મ્ય અનુસંધાન શ્લોક-૩૪, ૩૫ વરાહ પુરાણ)

સંકલનઃ શ્રી નિશીથ ઉપાધ્યાય,

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

(4:05 pm IST)