Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વેલનાથપરા ઓવરબ્રીજ પાસે ટ્રકની ઠોકરે નવદંપતિ ખંડીતઃ પત્નીનું મોતઃ પતિ સારવારમાં

પતિ રોહીત તેની પત્નિ માનસી બંને નિત્યક્રમ મુજબ ગ્રીનલેન્ડ ચોકડી શીવનગરમાં કરિયાણીની દુકાને જતા હતા

રાજકોટ તા. ર૬ : શહેરના નવા મોરબી રોડ વેલનાથપરા ઓવરબ્રીજ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ટ્રકે બાઇક પર જઇ રહેલા નવદંપતીને ઉલાળતા પતિની નજર સામે જ પત્નિનું મોત નિપજતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ આણંદપર ગામમાં રહેતા રોહીત રાજેશભાઇ સાંકરીયા (ઉ.ર૪) એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે,  પોતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નં.૧/૭ ના ખુણા પાસે કરીયાણાની કેબીન ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના આઠ મહિના પહેલા આજીડેમ ચોકડી પાસે રહેતા સ્વ. રાજેન્દ્રસિંહ મહોબતસિંહ પરમારના દીકરી માનસી સાથે લગ્ન થયા હતા કરીયાણાની દુકાને નિત્યક્રમ મુજબ બંને અપડાઉન કરીએ છીએ.

ગઇકાલે પોતાના મોટાભાઇનં જીજે ૩ એલપી.૧પ૪૭ નંબરનું બાઇકમા પોતે પત્નિ માનસી બંને ઘરેથી કરીયાણાની દુકાને જવા રવાના થયા હતા બાદ નવા મોરબી રોડ વેલનાથપરા ઓવરબ્રીજના વળાંક પહેલા ગ્રીનલેન્ડ ચોકી તરફ જતા હતા ત્યારે બેડી ચોકડી તરફથી એક ટ્રક ચાલેક પુરઝડપે પાછળથી આવી બાઇકને ઉલાળતા પત્ની ટ્રકની પાછળના ટાયરના જોટામાં આવી જતા તેનું માથુ અને ડાબો હાથ છુંદાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું અને ફંગોળાઇ જવાથી પોતાને પગ તથા હાથમાં મુંઢ ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. પરંતુ પોતે ટ્રક નં.જીજ.૧ર એકસ-૮૪૭પ  નંબર યાદ ચાલુ રાખી લીધા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કોઇએ ૧૦૮ માં જાણ કરતા પોતાને ૧૦૮ મારફતે સિવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ.

આ બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ એચ.જે.જોગડા તથા રાઇટર રાજાભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી આઠ મહિના પહેલા જ પુત્રીને સાસરે વળાનાર આજીડેમ ચોકડી પાસે રહેતા પરમાર પરિવારને જાણ થતા હોસ્પિટલે દોડી ગયા હતા. પતિની નજર સામે જ પત્નીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:05 pm IST)