Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પોપટપરામાં આંચકીની બિમારીથી કંટાળી આરતીબેન ઝરવરીયાએ કર્યો

ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું: બે સંતાન મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૨૬: પોપટપરા શેરી નં. ૭/૧૨ના ખુણે રહેતી આરતીબેન વિશાલભાઇ ઝરવરીયા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ છતમાં હીંચકાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

આરતીબેનને સાંજે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીને તબિબે મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. આરતીબેનના માવતર સંતોષીનગરમાં રહે છે. તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વિશાલભાઇએ કહ્યું હતું કે પોતે છુટક મજૂરી કરે છે. પત્‍નિને આંચકીની બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ હતું. બનાવથી બે સંતાન મા વિહોણા થઇ જતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો.

બેભાન હાલતમાં માલધારી

સોસાયટીના લક્ષ્મીબેનનું મોત

માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી-૧માં રહેતાં લક્ષ્મીબેન કરસનભાઇ રાઠોડ (ઉ.૫૦) નામના મહિલા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્રી છે. પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ભગવતીપરાનો જાહિદ

મજાકમાં ફિનાઇલ પી ગયો

ભગવતીપરામાં ભારત પાનવાળી શેરીમાં રહેતાં અને છુટક કામ કરતાં જાહિદ અનવરભાઇ જૂણેજા (ઉ.૨૨)એ રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. ફિનાઇલ પીધા બાદ તેણે મિત્રને ફોન કરતાં મિત્રએ દવાખાને ખસેડયો હતો. અમસ્‍તા જ મશ્‍કરીમાં પોતે ફિનાઇલ પી ગયાનું તેણે કહ્યું હતું.

(4:05 pm IST)