Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રવિવારે નચિકેત એવોર્ડ અર્પણ સમારોહ

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને પૂ. મોરારીબાપુના હસ્તે એનાયત થશે

રાજકોટ તા. ૨૬ : જીવનના છેલ્લા શ્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેનારા શતાયુ પત્રકાર, લેખક અને ચિંતક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં પ્રતિવર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે એનાયત થતા 'નચિકેત એવોર્ડ' આ વર્ષે રાજકોટ સ્થિત વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને એનાયત થશે. આગામી તા. ૨૮ના, રવિવારે સાંજે ૫ કલાકે કોટેચા ચોક, કાલાવડ રોડ સ્થિત સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરિયમ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં મોરારિબાપુનાં હસ્તે આ એવોર્ડ તેમને એનાયત થશે.

વર્ષ ૨૦૧૯મા રાજકોટમાં નગીનદાસ સંદ્યવીનું શતાયુ સન્માન યોજાયું હતું. એ વખતે એમને અર્પણ થયેલી ધનરાશી એમણે સ્વીકારી નહોતી એટલે એમાંથી પ્રતિવર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર પત્રકારોને પોખવાનો નિર્ણય થયો હતો. એ રીતે નચિકેત એવોર્ડનો પ્રારંભ થયો. આ એવોર્ડ અંતર્ગત રૂપિયા ૧,૨૫,૦૦૦ની પુરષ્કાર રાશી અને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજ સુધીમાં આ એવોર્ડ શ્રી ગુણવંત શાહ, શ્રી કુંદન વ્યાસ, શ્રી હિરેન મહેતા, શ્રી વિકાસ ઉપાધ્યાય, શ્રી ભાર્ગવ પરીખ, શ્રી ચિરંતના ભટ્ટ, શ્રી ભવેન કચ્છીને એનાયત થયા છે અને હવે વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબનાં પૂર્વ તંત્રી શ્રી કૌશિક મહેતાને આ એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે.

રાજકોટ સ્થિત શ્રી કૌશિક મહેતા ફૂલછાબમાં તંત્રી રહી ચૂકયા છે. નુતન સૌરાષ્ટ્ર, અકિલા, સંદેશ અને ચિત્રલેખામાં પત્રકાર તરીકે કામ કર્યું છે. ફૂલછાબમાં ૧૪ વર્ષ તંત્રીપદે રહ્યા. વિવિધ વિષયો પર એમની કલમ ચાલતી રહી છે. ૨૨થી વધુ પુસ્તકો પણ આપ્યા છે.

તા. ૨૮ના યોજાનારા કાર્યક્રમમાં જાણીતા પત્રકાર અને લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નગીનદાસ સંઘવીનું સ્મરણ કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિના ભરત ઘેલાણી અને જયંતીભાઈ ચાંદ્રા દ્વારા રસ ધરાવનારા સૌ કોઈને જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

(3:58 pm IST)