Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કૃષ્ણનગરના કટલેરીના વેપારી મુર્તુઝાભાઇ વ્હોરાને સંજય ચાવડાએ માથામાં પાણકો મારી ધમકી દીધી

તારું પરાસર પાર્કનું મકાન કોઇને વેંચતો નહિ...તેમ કહી ડખ્ખો કર્યોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૬: વ્હોરા સોસાયટી પાસે કૃષ્ણનગરમાં રહેતાં કટલેરીના વેપારી વ્હોરા આધેડને પરાસર પાર્કમાં તેના મકાનનું કામ ચાલુ હતું ત્યાં હતાં ત્યારે બાજુમાં રહેતાં શખ્સે આ મકાન કોઇને વેંચતો નહિ...તેમ કહી ગાળો દઇ માથામાં પાણકો મારી લોહીલુહાણ કરી નાંખતા અને ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં પોલીસે જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર માધવ પાન પાસે રહેતાં અને કટલેરીનો ધંધો કરતાં મુર્તુઝાભાઇ અબ્દુલહુશેન ત્રવાડી (વ્હોરા) (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી પરાસર પાર્ક-૧માં રહેતાં વિક્રમ જસુભાઇ ચાવડા સામે ગુનો નોંધ્યો છે.

મુર્તુઝાભાઇના કહેવા મુજબ હું સોમવારે પરાસર પાર્ક-૧ ગજાનન શેરીની સામે મારું  નવુ મકાન બનાવવાનું કામ ચાલે છે ત્યાં હતો ત્યારે બાજુમાં મકાન ધરાવતાં વિક્રમ ચાવડાએ મને રોકી તું તારું મકાન બીજા કોઇને વેંચતો નહિ તેમ કહેતાં મેં તેને કહેલુ કે જો તમારે લેવું હોય તો મને પૈસા ચુકવી આપો તો તમને આપી દવ. આ વાત થતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડ્યો હતો. તેમજ ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપી હતી અને રોડ પરથી પથ્થર ઉપાડી માથા પાછળ ફટકારી દેતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

આ વખતે માધવ પાનના માલિક સંજયભાઇએ મને વધુ મારથી બચાવ્યો હતો. હું મારું વાહન લઇ ઘરે જતો રહ્યો હતો અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ગાંધીગ્રામના એએઅસાઇ એમ. વી. લુવાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(12:52 pm IST)